ભરૂચ:
યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન (UMA), ભરૂચ દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવા માટે ‘તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ’નું આયોજન તા. 23 ઓગસ્ટ 2026ના રોજ સાજિદ દલાલ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. સમારોહમાં ભરૂચ શહેરના વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર કુલ 252 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
સન્માનિત વિદ્યાર્થીઓમાં 37 ગ્રેજ્યુએટ અને પોસ્ટ-ગ્રેજ્યુએટ, 65 HSC સાયન્સ, 50 HSC જનરલ તેમજ 100 SSCના વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો. વિદ્યાર્થીઓની મહેનત અને શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે જનાબ મોહમ્મદ હનીફ સાહેબ તથા ગેસ્ટ ઑફ ઑનર તરીકે જનાબ અબ્દુલ ગની પંજાબી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ તેજસ્વી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
કાર્યક્રમની આગેવાની UMAના પ્રમુખ જનાબ અબ્દુલ રહીમ શેખ સાહેબે કરી હતી. જ્યારે સંસ્થાના જનરલ સેક્રેટરી જનાબ ઇમ્તિયાઝ ખાન પઠાણ અને પ્રોજેક્ટ ચેરમેન જનાબ પરવેઝ લકડાવાલાની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. સમારોહનું સંચાલન સિરાજ સૈયદ, ઇલ્યાસ ફ્રૂટવાલા અને વસીમ શેખ દ્વારા કરવામાં આવ્યું હતું. UMA દ્વારા યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓની મહેનત અને સિદ્ધિઓને જાહેરમાં બિરદાવવાનો તેમજ અન્ય વિદ્યાર્થીઓને પણ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રેરિત કરવાનો રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાલીઓમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.
