ભરૂચ:
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ તથા ભારત ભારતી, ભરૂચના સંયુક્ત ઉપક્રમે કસક ખાતે આવેલા ‘વડીલોના ઘર’માં ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન સંસ્કૃતિ ટ્રસ્ટ અને ભારત ભારતીની બહેનોએ વડીલો તેમજ ઉપસ્થિત ભાઈ-બહેનોને રાખડી બાંધી મીઠાઈ ખવડાવી હતી. બહેનોની રક્ષા અને હંમેશા તેમની સાથે ઊભા રહેવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. વડીલોએ પણ લાગણીસભર આશીર્વાદ આપતાં સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભાજપના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, પીએસઆઈ વૈશાલીબેન આહીર, ભારત ભારતીના રુદ્ર નારાયણ અને રાજેશભાઈ તેમજ સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્કૃતિ ટ્રસ્ટના સહ-સ્થાપક હેમાબેન પટેલ, સેક્રેટરી સીમાબેન ચુડાસમા, પ્રોજેક્ટ ચેરમેન નીલમ ઠાકુર, માધુરી ચૌધરી તેમજ ભારત ભારતીના ભરૂચ જિલ્લા પ્રમુખ નામદેવ પારઘી, સંયોજક યોગેશભાઈ પાટીલ અને મહિલા સંયોજિકા દીપિકાબેન શાહ સહિત બંને સંસ્થાઓના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. રક્ષાબંધનના આ પાવન પ્રસંગે સપ્તસુર કલાવૃંદ દ્વારા સુંદર ગીતોની રજૂઆત કરવામાં આવી હતી, જેના કારણે કાર્યક્રમમાં સંગીતમય માહોલ સર્જાયો હતો. અંતે સૌએ સાથે પ્રીતિભોજન લીધું હતું અને વડીલો સાથે સ્નેહસભર મુલાકાત કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા.
