ભરૂચ:
ભરૂચના વેજલપુર ખાતે ખારવા પંચ પ્રેરિત યુવા સમિતિ દ્વારા ‘ઇનામ વિતરણ તથા સન્માન સમારોહ-2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા તેમજ યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર 70થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
સમારોહમાં ધોરણ 10 અને 12માં 70 ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ ઉપરાંત સ્નાતક, અનુસ્નાતક તેમજ વિવિધ વ્યાવસાયિક અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વેજલપુર અને આસપાસના વિસ્તારોના ખારવા, હાંસોટી અને માછી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે બિરદાવવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર આશરે 23 ટોપર વિદ્યાર્થીઓને આકર્ષક ઇનામો, ભેટો અને મોમેન્ટો અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જ્યારે કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સન્માનપત્ર આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ ઉપરાંત સમાજમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખી રહેલા કાર્યરત શિક્ષકો તેમજ લાંબા સમય સુધી સેવા આપ્યા બાદ નિવૃત્ત થયેલા શિક્ષકોનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષકોને શાલ અને મોમેન્ટો અર્પણ કરી તેમની શૈક્ષણિક સેવાઓને બિરદાવવામાં આવી હતી.
સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપના મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી, માજી પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રી, શિક્ષણ વિભાગના અધિકારી ડૉ. દિવ્યેશ પરમાર, બાબુભાઈ મિસ્ત્રી, પીએસઆઈ ઇન્દ્રવદન મિસ્ત્રી, મનીષ મિસ્ત્રી સહિત પંચના ટ્રસ્ટીગણ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સતત આગળ વધવા અને સમાજનું નામ રોશન કરવા પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. યુવા સમિતિના આ આયોજનને સમાજના અગ્રણીઓએ સરાહનીય ગણાવી ભવિષ્યમાં પણ આવા શૈક્ષણિક પ્રોત્સાહક કાર્યક્રમો યોજાતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
