ભરૂચ: સનાતન હિન્દુ ધર્મની પ્રાચીન વૈદિક પરંપરા મુજબ શ્રાવણી પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના પવિત્ર અવસરે ભરૂચ શહેરના શક્તિનાથ સ્થિત શક્તિનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં આવેલા સત્સંગ ભવન ખાતે શ્રાવણી પ્રયોગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના ૪૧થી વધુ ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન, મંત્રોચ્ચાર તથા વિશેષ પૂજન-અર્ચન સાથે જૂની જનોઈનો ત્યાગ કરી નૂતન યજ્ઞોપવિત ધારણ કર્યું હતું.
હિન્દુ સંસ્કૃતિમાં યજ્ઞોપવિતના ત્રણ દોરા અને નવ તારનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ત્રણ દોરા દેવઋણ, પિતૃઋણ અને ઋષિઋણના પ્રતીક માનવામાં આવે છે. શ્રાવણી પ્રયોગ દરમિયાન ઉપાકર્મની પરંપરા મુજબ દ્વિજ સમુદાય દ્વારા વર્ષ દરમિયાન અજાણતામાં થયેલી ભૂલોનું પ્રાયશ્ચિત કરવામાં આવે છે અને આત્મશુદ્ધિ તથા પવિત્રતાનો સંકલ્પ લેવામાં આવે છે.
આ પ્રસંગે આચાર્ય શિવમભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ મંત્રોચ્ચાર સાથે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શ્રાવણી પ્રયોગ સંપન્ન કરાવવામાં આવ્યો હતો. પિયુષભાઈ પુરોહિતે શ્રાવણી પ્રયોગના આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ અંગે ઉપસ્થિતોને વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ઉપાકર્મ વિધિના પાલન તેમજ વૈદિક પરંપરાના જતન અને આગામી પેઢી સુધી તેના સંસ્કારો પહોંચાડવા અંગે ભાર મૂક્યો હતો.
ભરૂચના ભૂદેવોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ધાર્મિક અનુષ્ઠાનથી શક્તિનાથ મહાદેવ મંદિર પરિસરમાં સમગ્ર સમય ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ છવાઈ ગયું હતું. વૈદિક પરંપરા અને સંસ્કૃતિના જતન સાથે શ્રદ્ધાપૂર્વક યોજાયેલા આ શ્રાવણી પ્રયોગમાં ભૂદેવોએ ધાર્મિક વિધિ પૂર્ણ કરી નૂતન યજ્ઞોપવિત ધારણ કરી હતી.
