જંબુસર: સાઉથ આફ્રિકાના પિટોરિયામાં પરિવાર સાથે રહીને વ્યવસાય કરતા જંબુસરના વેપારી આસિફ ઘાસીયાનું કથિત અપહરણ થતાં સાઉથ આફ્રિકામાં વસતા ગુજરાતીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.
મળતી માહિતી મુજબ, આસિફ ઘાસીયા પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે પોલીસ યુનિફોર્મમાં ઉભેલા શખ્સોએ ચેકિંગના બહાને તેમની કાર રોકાવી હતી. આસિફ કારમાંથી નીચે ઉતરતાં જ અન્ય કારમાં આવેલા શખ્સોએ તેમને જબરજસ્તીથી પોતાની સાથે લઈ ગયા હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
પરિવારના જણાવ્યા અનુસાર, સમગ્ર ઘટનામાં બે કારમાં આવેલા સાત જેટલા સશસ્ત્ર શખ્સો સામેલ હતા. પોલીસની વેશભૂષામાં આવેલા શખ્સોએ અપહરણની ઘટનાને અંજામ આપતાં આસિફ ઘાસીયાના પરિવારજનો ચિંતામાં મુકાયા છે.
આ ઘટનાની જાણ થતાં જ સાઉથ આફ્રિકામાં રહેતા ગુજરાતી સમાજમાં પણ ચિંતા ફેલાઈ છે. વિદેશમાં પરિવાર સાથે વસવાટ કરતા ગુજરાતીઓની સુરક્ષાને લઈને પણ સવાલો ઉભા થયા છે.
આસિફ ઘાસીયાના પરિવારજનોએ સમગ્ર મામલે ભારત સરકાર અને સંબંધિત સત્તાવાળાઓ તાત્કાલિક હસ્તક્ષેપ કરી આસિફને સલામત પરત લાવવા માટે મદદ કરે તેવી માંગ કરી છે.
પોલીસ યુનિફોર્મમાં આવેલા શખ્સો દ્વારા અપહરણની ઘટના બન્યાના આક્ષેપોને પગલે હવે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ બાદ સમગ્ર હકીકત બહાર આવે તેવી આશા પરિવારજનો રાખી રહ્યા છે.
