ભરૂચ:
જોલવા નજીક રસ્તા પર ઉભેલી ગાયને બચાવવા જતાં બાઈક સ્લીપ થતાં ત્રણ વ્યક્તિઓ ગટરિયામાં પટકાવાની ઘટના બની હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે.
મળતી માહિતી મુજબ, નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પલાસવાડા ગામના અતુલ લક્ષ્મણ વલવી તથા તેનો નાનો ભાઈ અમિત વલવી જોલવા ખાતે બાબા સિતારામ સોસાયટીમાં રહેતા હતા. અતુલ વડદલા ખાતે આવેલી એસીજી સેલ્યુલોઝ કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો, જ્યારે અમિત પણ આ જ કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતો હતો.
સવારે અતુલ અને અમિત તેમના સાથે કામ કરતા અન્ય હેલ્પર યોગેશ ચૌહાણ સાથે કેટીએમ ડ્યુક બાઈક પર જોલવાથી એસીજી સેલ્યુલોઝ કંપની તરફ જવા નીકળ્યા હતા. દરમિયાન જોલવા ગામ નજીક પેવિટ કંપની પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર એક ગાય ઉભી હોવાનું નજરે પડ્યું હતું.
બાઈક અતુલ ચલાવી રહ્યો હતો. તેણે ગાયને બચાવીને બાઈક સાઈડમાંથી પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાઈકની ગતિ વધુ હોવાથી અચાનક સ્લીપ થઈ ગયું હતું. જેના કારણે ત્રણેય બાઈક સાથે રસ્તાની બાજુમાં આવેલી ગટરમાં પટકાયા હતા. ગટરમાં કાદવ-કિચડવાળું પાણી ભરેલું હોવાથી અતુલ અને યોગેશ કોઈક રીતે બહાર નીકળી ગયા હતા.
જોકે, અમિત પાણીમાંથી બહાર ન આવતા બંને ગભરાઈ ગયા હતા અને શોધખોળ કરીને તેને બહાર કાઢ્યો હતો. અમિતને શરીરના ગુપ્ત ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હોવાનું જણાયું હતું. તે સમયે તે વાતચીત પણ કરી રહ્યો હતો. અતુલ અને યોગેશને પણ અકસ્માતમાં શરીર પર છોલાઈ જવાથી ઈજાઓ થઈ હતી.
ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ત્રણેયને સારવાર માટે દહેજની એએન્ડવી ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન અમિતની તબિયત લથડી અને તે બેભાન થઈ ગયો હતો. સવારે સાડા નવેક વાગ્યાના અરસામાં તબીબે અમિતનું મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
અકસ્મત અંગે અતુલની ફરિયાદના આધારે દહેજ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
