ભરૂચ:
રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ભરૂચ નગરપાલિકાએ બહેનો અને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે વિશેષ સુવિધાની જાહેરાત કરી છે. રક્ષાબંધનના દિવસે એટલે કે 28 ઓગસ્ટના રોજ ભરૂચ પાલિકા સંચાલિત તમામ સિટી બસમાં બહેનો તથા 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સમગ્ર દિવસ દરમિયાન નિઃશુલ્ક મુસાફરી કરી શકશે.
નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા માટે શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે અવરજવર કરતી હોય છે. બહેનોને સરળ અને સુવિધાજનક મુસાફરી મળી રહે તેમજ મુસાફરીના ખર્ચમાંથી રાહત મળે તે હેતુથી પાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ મફત બસ સેવાનો લાભ 28 ઓગસ્ટના રોજ સમગ્ર દિવસ દરમિયાન લઈ શકાશે. પાલિકાના આ નિર્ણયથી રક્ષાબંધનના પર્વે શહેરમાં અવરજવર કરતી બહેનો અને નાના બાળકોને મોટી રાહત મળશે.
ઉલ્લેખનીય છે કે, ભરૂચ નગરપાલિકા દ્વારા ગત વર્ષે પણ રક્ષાબંધન નિમિત્તે આવી નિઃશુલ્ક સિટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી, જેનો હજારો બહેનોએ લાભ લીધો હતો. આ વર્ષે પણ મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો આ સુવિધાનો લાભ લેશે તેવી પાલિકા તંત્રને અપેક્ષા છે.
નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ રક્ષાબંધનના પર્વ નિમિત્તે ભરૂચ શહેરના તમામ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
