ભરૂચ:
ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમ તથા અતૂટ સ્નેહના પ્રતિક એવા રક્ષાબંધનના પર્વની ભરૂચ અને અંકલેશ્વરમાં આજે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ ભાઈઓના કાંડે રાખડી બાંધી તેમના સુખી અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરી હતી, જ્યારે ભાઈઓએ બહેનની હંમેશા રક્ષા કરવાનો સંકલ્પ લીધો હતો.
રક્ષાબંધનના પર્વને લઈને ભરૂચ-અંકલેશ્વરમાં ઠેર-ઠેર ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. રાખડી, મીઠાઈ અને ભેટોની ખરીદી માટે બજારોમાં લોકોની ભીડ જોવા મળી હતી. બહેનોએ વિવિધ પ્રકારની રંગબેરંગી રાખડીઓની ખરીદી કરી ભાઈઓના કાંડે રાખડી બાંધી હતી. રક્ષાબંધન ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ અને પરસ્પર રક્ષણના વચનને મજબૂત બનાવતો પવિત્ર તહેવાર છે. આ દિવસે બહેન ભાઈના કાંડે રાખડી બાંધી તેના સુખી જીવનની કામના કરે છે, જ્યારે ભાઈ જીવનભર બહેનની રક્ષા અને સાથ આપવાનું વચન આપે છે. ભરૂચ અને અંકલેશ્વરમાં પણ આ પવિત્ર પરંપરા સાથે ભાઈ-બહેનોએ રક્ષાબંધનની ઉજવણી કરી હતી.
પૌરાણિક માન્યતા અનુસાર, એક વખત ભગવાન શ્રીકૃષ્ણની આંગળીમાં ઈજા થતાં લોહી નીકળ્યું હતું. તે સમયે દ્રૌપદીએ પોતાની સાડીનો ટુકડો ફાડીને શ્રીકૃષ્ણની આંગળી પર બાંધી દીધો હતો. દ્રૌપદીનો આ સ્નેહ જોઈ ભગવાન શ્રીકૃષ્ણે હંમેશા તેની રક્ષા કરવાનું વચન આપ્યું હતું. ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષણની આ ભાવનાને રક્ષાબંધન સાથે સાંકળવામાં આવે છે.
