ભરૂચ: ભરૂચ જિલ્લામાં હિન્દૂ ધર્મસેના દ્વારા અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણા અને સશક્ત ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આજે શનિવાર, તા. 29મીના રોજ ભવ્ય અને ઐતિહાસિક સમરસ કળશ કાવડયાત્રાનો પ્રારંભ થયો છે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ડભોયાવાડ સ્થિત પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી શ્રદ્ધાળુઓ અને કાવડિયાઓની ઉપસ્થિતિમાં યાત્રા પ્રસ્થાન કરી છે.
ધાર્મિક માહોલ વચ્ચે શરૂ થયેલી આ કાવડયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે. કાવડિયાઓ દ્વારા પવિત્ર જળ સાથે કાવડ ધારણ કરી ભગવાન શિવના જયઘોષ સાથે યાત્રા આગળ વધી રહી છે. સમગ્ર યાત્રા દરમિયાન ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે.
કાવડયાત્રા વિવિધ માર્ગો પરથી પસાર થઈ કાવી-કંબોઈ સ્થિત પવિત્ર સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચશે. જ્યાં કાવડિયાઓ દ્વારા લાવવામાં આવેલા પવિત્ર જળથી ભગવાન સ્તંભેશ્વર મહાદેવનો વિધિવત જળાભિષેક કરવામાં આવશે.
આ સમરસ કળશ કાવડયાત્રાને લઈને આયોજકો દ્વારા જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે. યાત્રામાં જોડાયેલા ભક્તોની સુવિધા તેમજ યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે.
‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે આગળ વધી રહેલી કાવડયાત્રાથી ભરૂચથી કાવી-કંબોઈ સુધીનો સમગ્ર માહોલ શિવમય બન્યો છે.
