ભરૂચ: ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં રાત્રિના સમયે શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ સીસીટીવી કેમેરામાં કેદ થતાં સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. તહેવારોના દિવસોમાં અનેક લોકો પરિવાર સાથે બહારગામ જતા હોવાથી તસ્કરીની આશંકા વ્યક્ત કરી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની માંગ ઉઠી છે.
ઝાડેશ્વર ગામમાં જીએનએફસી પાછળ આવેલા રોડ નજીકની આકાશ ગંગા અને નિલકંઠ નગર સોસાયટી વિસ્તારમાં રાત્રિના સમયે એક શંકાસ્પદ ઈસમ આંટાફેરા મારતો જોવા મળ્યો હતો. એટલું જ નહીં, શખ્સ કેટલાક મકાનોના કંપાઉન્ડમાં કુદતો હોવાના દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. શખ્સની આ પ્રકારની હિલચાલથી સ્થાનિકોમાં તસ્કરોની ટોળકી સક્રિય હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ સ્થાનિકોએ સાવચેતીના ભાગરૂપે સમગ્ર મામલે ભરૂચ સી-ડિવિઝન પોલીસને જાણ કરી છે. તહેવારો દરમિયાન ઘરો બંધ રાખીને બહારગામ જતા પરિવારોને ધ્યાનમાં રાખી રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી છે.
હાલ સીસીટીવીમાં કેદ થયેલો શંકાસ્પદ ઈસમ કોણ છે અને સોસાયટીમાં તેની હિલચાલ પાછળનો હેતુ શું હતો તે સ્પષ્ટ થયું નથી. જોકે, તેની ઓળખ મેળવવા અને સમગ્ર મામલે તપાસ કરવા કવાયત હાથ ધરાઈ છે.
