ભરૂચ: સમાજના અંતિમ પાયાદાન પર ઉભેલા જરૂરિયાતમંદ અને વંચિત વ્યક્તિ સુધી સરળતાથી અને નિઃશુલ્ક ન્યાય પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ભરૂચ જિલ્લામાં 60 દિવસીય મેગા કાનૂની જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નાલસા તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા હાંસોટ તાલુકાના ઇલાવ ગામેથી આ વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.
ઇલાવ ખાતે યોજાયેલી શિબિરમાં ગ્રામજનોને રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (NALSA) દ્વારા અમલમાં મૂકવામાં આવેલી 13 મુખ્ય જનોપયોગી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. આ અભિયાનનો ઉદ્દેશ્ય માત્ર યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડવાનો જ નહીં, પરંતુ પાત્ર લાભાર્થીઓને ઓળખી તેમને યોજનાઓનો સીધો લાભ અપાવવાનો પણ છે.
અભિયાન દરમિયાન ગ્રામ્ય અને છેવાડાના વિસ્તારોમાં વિવિધ કાનૂની જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં બાળકો, દિવ્યાંગ વ્યક્તિઓ, વરિષ્ઠ નાગરિકો, એસિડ એટેક પીડિતો, માનવ તસ્કરીનો ભોગ બનેલા વ્યક્તિઓ તેમજ અસંગઠિત ક્ષેત્રના કામદારો સહિતના નબળા વર્ગો માટે ઉપલબ્ધ કાનૂની સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
આ ઉપરાંત નાગરિકોને મફત કાનૂની સહાય મેળવવાનો અધિકાર, કાનૂની સલાહ અને માર્ગદર્શન, લોક અદાલત તથા કાનૂની સેવા સત્તા મંડળની વિવિધ સેવાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવશે.
60 દિવસ સુધી ચાલનારા આ અભિયાન થકી જિલ્લાના વિવિધ ગામો અને વિસ્તારોમાં કાનૂની જાગૃતિ કાર્યક્રમો યોજી સમાજના નબળા અને જરૂરિયાતમંદ વર્ગ સુધી ન્યાય અને કાનૂની સહાયની પહોંચ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ઇલાવ ગામેથી શરૂ થયેલી આ ડ્રાઇવનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને તેમના કાનૂની અને બંધારણીય અધિકારો અંગે જાગૃત કરી ન્યાય મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ અને સુલભ બનાવવાનો છે.
