ભરૂચ: ભરૂચ જિલ્લા કોર્ટમાં ઈન્ચાર્જ જિલ્લા પબ્લિક પ્રોસિક્યુટર (જિલ્લા સરકારી વકીલ) તરીકે ફરજ બજાવતા પરેશ બી. પંડ્યાનું છ મહિના અગાઉનું રાજીનામું સ્વીકારવામાં આવતા મંગળવારે કોર્ટ પરિસરમાં ચર્ચા શરૂ થઈ હતી. તેમની સાથે આસિસ્ટન્ટ એડવોકેટ નિલમબેન મિસ્ત્રીએ પણ રાજીનામું આપ્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
પરેશ પંડ્યા લાંબા સમયથી ભરૂચ જિલ્લા કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા હતા. બાદમાં એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર અને ઈન્ચાર્જ જિલ્લા પબ્લિક પ્રોસિક્યુટર તરીકે જવાબદારી સંભાળી હતી. હત્યા, લૂંટ, દુષ્કર્મ સહિતના અનેક ગંભીર ગુનાઓમાં સરકાર તરફે કેસ લડી આરોપીઓને સજા અપાવવામાં તેમની ભૂમિકા રહી હતી.
ગૃહ વિભાગના નાયબ સચિવ અમૃત પટેલ દ્વારા જારી કરાયેલા પત્રથી તેમનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારાયું છે. સાથે જ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર જે. બી. પંચાલને જિલ્લા પબ્લિક પ્રોસિક્યુટરનો વધારાનો હવાલો સોંપાયો છે.
રાજીનામા પાછળ કોર્ટમાં પૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોવું, ઓછું મહેકમ અને વધુ કામનું ભારણ સહિતના મુદ્દાઓની ચર્ચા છે. કેટલાક કેસોમાં રાજકીય દબાણની પણ અટકળો છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
રાજીનામાના કારણ અંગે પરેશ પંડ્યાએ માત્ર એટલું જણાવ્યું હતું કે, તેમણે અગાઉ રાજીનામું આપ્યું હતું, જે હવે સ્વીકારાયું છે. ચોક્કસ કારણ અંગે તેમણે કોઈ સ્પષ્ટતા કરી નહોતી.
