ભરૂચ:
ભરૂચમાં 250 વર્ષથી ચાલી આવતી મેઘરાજા મહોત્સવ અને છડીનોમની આગવી પરંપરાનો પ્રારંભ થતાં શહેર ભક્તિ અને ઉત્સવના રંગે રંગાયું છે. સોનેરી મહેલથી પાંચબત્તી રોડ સુધી યોજાયેલા લોકમેળામાં મેઘરાજાના દર્શન માટે ભરૂચ ઉપરાંત રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.
લોકવાયકા મુજબ, વર્ષો પહેલાં ભરૂચમાં વરસાદ ખેંચાતા દુષ્કાળની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ભોઈ સમાજના વડવાઓએ નર્મદાની માટીમાંથી વરસાદના દેવતા મેઘરાજા એટલે કે ઇન્દ્રદેવની પ્રતિમા બનાવી આરાધના શરૂ કરી હતી. ત્યારબાદ ધોધમાર વરસાદ પડતાં દુષ્કાળમાંથી રાહત મળી હોવાની માન્યતા સાથે આજદિન સુધી આ પરંપરા જળવાઈ રહી છે.
શ્રાવણ વદ દશમથી યોજાતા આ મહોત્સવ દરમિયાન પૂજા, આરતી અને ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. ઘોઘારાવ મહારાજના મંદિરે જાદવ સમાજના છડીદારોએ 50 ફૂટ લાંબી અને 150 કિલો વજનની છડી પરંપરાગત રીતે ઝુલાવી હતી. સંતાનના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે મેઘરાજાને માનતા રાખવાની પરંપરા પણ આજે જળવાઈ છે.
5 અને 6 સપ્ટેમ્બરે વાહનવ્યવહાર પર પ્રતિબંધ
છડીનોમ અને મેઘરાજાની સવારીને પગલે તા.5 અને 6 સપ્ટેમ્બરે સવારે 11થી રાત્રે 9 વાગ્યા સુધી શહેરના કેટલાક મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર બંધ રહેશે. તા.6 સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યે મોટા ભોઈવાડાથી મેઘરાજાની સવારી ઝાડેશ્વર તરફ નીકળશે.
મેળામાં દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ
તા.3થી 6 સપ્ટેમ્બર દરમિયાન સોનેરી મહેલ તથા હોસ્ટેલ ગ્રાઉન્ડ વિસ્તારમાં યોજાનારા મેળામાં જાહેર સલામતીને ધ્યાનમાં રાખી દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે.
સ્વચ્છતા અંગે પણ તંત્રની તાકીદ
મેળા દરમિયાન પીવાના પાણીના સ્થળોની આસપાસ સ્વચ્છતા જાળવવા, જાહેર સ્થળે શૌચ-પેશાબ ન કરવા અને વાસી કે અયોગ્ય ખાદ્યપદાર્થોનું વેચાણ ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ખાણી-પીણીની દુકાનો અને હોટલોને પણ સ્વચ્છતા જાળવવા તાકીદ કરાઈ છે.
