ભરૂચ :
ભરૂચ શહેરના રહેણાંક વિસ્તારમાં 132 KV હાઈટેન્શન લાઈનની નજીક આશરે 30 મીટર ઊંચા મોબાઈલ સિગ્નલ ટાવરનું બાંધકામ શરૂ થતાં સ્થાનિક રહીશોમાં ચિંતા ફેલાઈ છે. પુષ્પમ, આશાપુરી તેમજ રચનાનગર-1થી 5 સોસાયટીના અંદાજે 3થી 4 હજારથી વધુ રહીશોની સલામતીને લઈ સ્થાનિકોએ વાંધો ઉઠાવી તાત્કાલિક તપાસની માંગ કરી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, મોબાઈલ ટાવર ઉભો કરવા માટે જરૂરી કાયદાકીય મંજૂરીઓ અને અંતિમ NOC મેળવવામાં આવી છે કે નહીં તે અંગે સ્પષ્ટતા નથી. તેમ છતાં સ્થળ પર ટાવરના બેઝ અને ફાઉન્ડેશનનું કામ શરૂ થઈ ગયું છે. જેના પગલે સમગ્ર બાંધકામ પ્રક્રિયા નિયમો મુજબ થઈ રહી છે કે કેમ તે અંગે સવાલો ઉઠ્યા છે.
સૌથી ગંભીર મુદ્દો 132 KV હાઈટેન્શન લાઈન અને પ્રસ્તાવિત ટાવર વચ્ચેના સલામત અંતરનો છે. ટાવરની ટેક્નિકલ ડિઝાઇન, સ્ટ્રક્ચરલ સેફ્ટી અને સ્થાપના સંબંધિત ધોરણોનું પાલન થયું છે કે નહીં તેની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. વાવાઝોડા કે ભૂકંપ જેવી કુદરતી આફત દરમિયાન ટાવરને નુકસાન થાય અથવા તે હાઈટેન્શન લાઈન તરફ તૂટી પડે તો જાનમાલને જોખમ સર્જાઈ શકે તેવી આશંકા પણ સ્થાનિકોએ વ્યક્ત કરી છે.
બીજી તરફ ટાવરમાંથી નીકળતા રેડિયો ફ્રિક્વન્સી (RF) એક્સપોઝર અંગે પણ લોકોમાં ચિંતા છે. જોકે, નિયમનકારી મર્યાદામાં રહેલા RF એક્સપોઝરથી ચોક્કસ બીમારી થાય છે તેવું નિશ્ચિતપણે સાબિત થયું નથી. તેથી લાગુ પડતા RF રેડિયેશન ધોરણોનું પાલન થાય છે કે નહીં તેની પણ ચકાસણી જરૂરી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.
સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકા, જિલ્લા કલેક્ટર, SDM, જેટકો તેમજ સી-ડિવિઝન પોલીસ સમક્ષ રજૂઆત કરી છે. ટાવરની મંજૂરી, હાઈટેન્શન લાઈનથી સલામત અંતર, સ્ટ્રક્ચરલ સેફ્ટી અને RF ધોરણોની તાત્કાલિક તપાસ થાય તેવી માંગ ઉઠી છે.
