ભરૂચ:
વિદ્યાર્થીઓમાં ઊર્જા બચત, ઊર્જા સંરક્ષણ અને પર્યાવરણ જાળવણી અંગે જાગૃતિ કેળવવાના હેતુથી ભરૂચની નવજીવન વિદ્યાલય ખાતે ‘બાળ ઊર્જા રક્ષક દળ’ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના સહયોગથી ગુજકોસ્ટ સંલગ્ન પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર-જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ભરૂચ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને ઊર્જાના કરકસરપૂર્વક ઉપયોગ તથા બિનજરૂરી ઊર્જા વપરાશ અટકાવવા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ઊર્જા બચત અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી જાગૃતિ રેલી યોજી લોકોમાં જાગૃતિ ફેલાવી હતી.
આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, PPT પ્રેઝન્ટેશન, ચાર્ટ પ્રદર્શન અને ક્વિઝ સ્પર્ધા સહિતની વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા દ્વારા વીજળી સહિત ઊર્જાના સંયમિત ઉપયોગ અને પર્યાવરણની જાળવણી અંગે સંદેશો રજૂ કર્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા નવજીવન વિદ્યાલયના આચાર્ય તથા શિક્ષકોએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પારિતોષિક તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ તથા ઉપસ્થિત સૌએ દૈનિક જીવનમાં ઊર્જાનો બિનજરૂરી વ્યય અટકાવી ઊર્જાનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને પર્યાવરણનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમને વિદ્યાર્થીઓ તરફથી ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો.
