ભરૂચ:
ભરૂચના નબીપુર નજીક નેશનલ હાઈવે-48ને અડીને આવેલી ખુલ્લી જગ્યામાં ઠાલવવામાં આવેલા શંકાસ્પદ કેમિકલયુક્ત કચરાના ઢગલામાં આગ લાગતાં ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. આગના કારણે કાળા ધુમાડાના ગોટેગોટા હાઈવે તરફ ફેલાતા વાહનચાલકો માટે રસ્તા પર દૃશ્યતા અત્યંત ઘટી જતાં અકસ્માતનો ભય ઉભો થયો હતો.
નબીપુર ઓવરબ્રિજથી થોડા અંતરે ખુલ્લી જગ્યામાં શંકાસ્પદ પ્રદૂષિત કચરો કોણ દ્વારા ઠાલવવામાં આવ્યો તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. કચરાના ઢગલામાં છેલ્લા બે દિવસથી આગ સળગી રહી હોવાના કારણે આસપાસના વિસ્તારમાં પણ ધુમાડો ફેલાયો હતો. કચરો કેમિકલયુક્ત હોવાની આશંકા વચ્ચે તેના ધુમાડાથી સ્થાનિક રહેવાસીઓ તથા હાઈવે પરથી પસાર થતા લોકોના આરોગ્યને નુકસાન થવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખાસ કરીને હાઈવેને અડીને જ કચરામાં આગ લાગવાથી ધુમાડાના ગોટેગોટા રોડ પર ફેલાતા વાહનચાલકોને આગળનો રસ્તો દેખાતો ન હોવાની સ્થિતિ સર્જાઈ હતી. પરિણામે કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
શંકાસ્પદ કેમિકલયુક્ત કચરો કોણ ઠાલવી ગયું? કચરો ખુલ્લી જગ્યામાં ઠાલવનાર શખ્સો સામે કાર્યવાહી થશે કે પછી જવાબદારો અજાણ્યા જ રહેશે, તે ચર્ચાનો વિષય બન્યો છે.
આ મામલે GPCB, મામલતદાર સહિતના સંબંધિત વિભાગોને જાણ કરવામાં આવી હોવા છતાં કાર્યવાહી અંગે સવાલો ઉઠી રહ્યા છે. તંત્ર આ ગંભીર બાબતે અજાણ છે કે પછી ગર્ભિત મૌન સેવી રહ્યું છે તે અંગે પણ સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે.
હાઈવેને અડીને શંકાસ્પદ કચરો ઠાલવવા અને તેને સળગાવવાની ઘટનાની તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
