ભરૂચ:
ઝાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના અનુભૂતિ ધામ ખાતે જન્માષ્ટમી પર્વની ભવ્ય અને ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાના ભૂલકાઓએ કૃષ્ણના વેશમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું.
જન્માષ્ટમી નિમિત્તે બાળકો દ્વારા ડાન્સ, નૃત્ય, નાટક તેમજ રાસ-ગરબા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભગવાન શ્રીકૃષ્ણના જીવન અને સંદેશને ઉજાગર કરતા કાર્યક્રમોએ ઉપસ્થિત શ્રદ્ધાળુઓમાં આધ્યાત્મિક ભાવના જગાવી હતી.
કાર્યક્રમના અંતે પરંપરાગત રીતે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. મટકી ફૂટતા જ સમગ્ર અનુભૂતિ ધામ **‘નંદ ઘેર આનંદ ભયો’, ‘જય કનૈયા લાલ કી’**ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તિ, આનંદ અને ઉત્સાહના માહોલમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
આ વિશેષ જન્માષ્ટમી મહોત્સવમાં માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદિદીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ઉપરાંત બ્રહ્માકુમારીઝ સંસ્થાના સમર્પિત ભાઈ-બહેનો તેમજ મોટી સંખ્યામાં સંસ્થાના અનુયાયીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન અનુભૂતિ ધામ કૃષ્ણમય બની ગયું હતું.
