ગુજરાત રાજ્ય સરકારની સૂચના મુજબ દર મહિનાના પ્રથમ રવિવારે ‘વૃક્ષારોપણ અને સુકાઈ ગયેલા રોપાઓની ફેરબદલી’ની થીમ અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. રવિવારે સ્વર્ણિમ લેકવ્યુ પાર્ક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 27 સુકાઈ ગયેલા રોપાની જગ્યાએ નવા 27 રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું.
નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર હરિશચંદ્ર અગ્રવાલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમનું આયોજન સબ રજીસ્ટાર (જ.મ.) તથા ગાર્ડન ઇન્ચાર્જ રઘુવીરસિંહ જે. મહીડા દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં નગરપાલિકાના ઉપપ્રમુખ વિરલબેન મકવાણા, શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પુષ્કર્ણા, રિક્રિએશન કમિટી ચેરમેન હેતલબેન ગાંધી, હેલ્થ એન્ડ સેનિટેશન કમિટી ચેરમેન નરેન્દ્રભાઈ પટેલ, વાહન કમિટી ચેરમેન અંકિતભાઈ રાઠોડ, ડિસ્પેન્સરી કમિટી ચેરમેન દીક્ષિતાબેન રાણા, સભ્ય તરુણભાઈ પટેલ સહિત વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
અભિયાન દરમિયાન નવા રોપાનું વાવેતર કરવા ઉપરાંત નાગરિકોને 55 રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. વૃક્ષોના જતન અને હરિયાળું અંકલેશ્વર બનાવવાના સંકલ્પ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
