ભરૂચ: રાજ્ય સરકારની વ્યક્તિલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચાડવાના હેતુથી ભરૂચ જિલ્લામાં તા. 21 સપ્ટેમ્બરથી તા. 9 ઓક્ટોબર, 2026 દરમિયાન સેવા સેતુ 2.1 ગ્રામ્ય યોજાશે. લાભાર્થીઓને તેમના નજીકના સ્થળે વિવિધ સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
સેવા સેતુ 2.1ના પ્રથમ તબક્કા અંતર્ગત તા. 19 સપ્ટેમ્બર સુધી જરૂરી દસ્તાવેજો તૈયાર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ જિલ્લા પંચાયતની બેઠક તથા તાલુકા દીઠ ક્લસ્ટર બનાવી સેવા સેતુ કાર્યક્રમ યોજાશે અને પાત્ર લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવશે.
સેવા સેતુના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને ભરૂચ ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટરે સંબંધિત અધિકારીઓને સેવા સેતુ શરૂ થાય તે પહેલાં જ પ્રથમ તબક્કાની જરૂરી કામગીરી 100 ટકા પૂર્ણ કરવા સૂચના આપી હતી. તંત્ર અને જનપ્રતિનિધિઓના સંકલિત પ્રયાસોથી કોઈપણ પાત્ર લાભાર્થી યોજનાકીય લાભથી વંચિત ન રહે તે માટે ખાસ ભાર મૂકાયો હતો.
પ્રથમ તબક્કામાં તમામ ગામોમાં આધાર નોંધણી અને આધારમાં સુધારા, ICDS બાળકોના આધારકાર્ડ, રેશનકાર્ડમાં નામ દાખલ-કમી તથા સુધારા અને ઈ-કેવાયસી જેવી સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવશે.
આ ઉપરાંત ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મહેસૂલી રેકર્ડમાં વારસાઈની એન્ટ્રી, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, બેન્કિંગ સેવાઓ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, સોઈલ હેલ્થ કાર્ડ, માતૃશક્તિ, નમોશ્રી, ખાતેદાર ખેડૂતના નમૂના નં. 7/12 સાથે આધારકાર્ડનું જોડાણ તથા કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની કુલ 12 સેવાઓમાં પાત્ર લાભાર્થીઓને લાભ મળે તે માટે પૂર્વ તૈયારીઓ હાથ ધરાશે.
કલેક્ટરે સેવા સેતુ કાર્યક્રમનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરી લોકોમાં જાગૃતિ લાવવા તથા મહત્તમ પાત્ર લાભાર્થીઓને યોજનાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને તાકીદ કરી હતી.
બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, ભરૂચ નગરપાલિકા પ્રમુખ, નિવાસી અધિક કલેક્ટર આર.બી. ભોગાયતા, પ્રાંત અધિકારી મનિષા મનાણી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને તાલુકા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
