ભરૂચ:
વાગરામાં વર્ષ 2020માં પત્ની પર પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી સળગાવી દેવાના ચકચારી હત્યા કેસમાં ભરૂચની અદાલતે આરોપી પતિને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે આરોપીને રૂ.10 હજારનો દંડ પણ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, તા. 15 જાન્યુઆરી, 2020ના રોજ યાસ્મીન પોતાના ઘરની બહાર તાપણું કરી રહી હતી. તે દરમિયાન આસીફ ત્યાં આવ્યો હતો અને યાસ્મીન સાથે તકરાર કરી અપશબ્દો બોલ્યા હતા. ત્યારબાદ આસીફે જમવાનું માંગતાં યાસ્મીન રસોડામાં જમવાનું કાઢવા ગઈ હતી. આ દરમિયાન આસીફે તેને તમાચા મારી મારઝૂડ કરી હતી અને ‘આજે તને પતાવી જ દેવી છે’ તેમ કહી ધમકી આપી હતી.
આરોપી આસીફે નજીકમાં રાખેલું પેટ્રોલ લાવી યાસ્મીન પર છાંટ્યું હતું અને ત્યારબાદ દૂરથી દિવાસળી ચાંપી દેતાં યાસ્મીન આગની ચપેટમાં આવી ગઈ હતી. ગંભીર રીતે દાઝેલી યાસ્મીનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
બનાવ અંગે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ કેસ ભરૂચની પાંચમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી ગયો હતો. કેસમાં સરકાર તરફે સરકારી વકીલ જે.જે. પરમારે દલીલો કરી વિવિધ પુરાવા રજૂ કર્યા હતા.
કોર્ટે સાહેદોની જુબાની, ફરિયાદી તેમજ મૃતકનું ડાઇંગ ડિકલેરેશન, એફએસએલ રિપોર્ટ ઉપરાંત દસ્તાવેજી અને વૈજ્ઞાનિક પુરાવાઓને ધ્યાને લીધા હતા. આ પુરાવાઓના આધારે પાંચમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પી.એમ. સોનીએ આરોપી આસીફ ઈકબાલ સિતપોણીયાને આઈપીસીની કલમ 302 તથા 201 હેઠળ કસૂરવાર ઠેરવ્યો હતો.
કોર્ટે આરોપીને આજીવન કેદ અને રૂ.10 હજારના દંડની સજા ફટકારી હતી.
