ચોમાસું ખેંચાઈ જતાં સિંચાઈના પાણીની અછતનો સામનો કરી રહેલા ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા તાલુકાના ખેડૂતોને આખરે રાહત મળી છે. ધારાસભ્ય રીતેશકુમાર વસાવાની રજૂઆત બાદ કરજણ જળાશયમાંથી નહેરમાં પાણી છોડવામાં આવ્યું છે. નહેરમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે.
ઝઘડિયા વિસ્તારમાં વરસાદ ખેંચાતા તુવેર, કપાસ, શેરડી અને જુવાર સહિતના ઉભા પાકને પૂરતું પાણી મળી રહ્યું ન હતું. જેના કારણે પાક સુકાવાની સ્થિતિમાં પહોંચતા ખેડૂતોમાં ચિંતા વધી હતી. સમયસર પાણી નહીં મળે તો પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હતી.
આ મુદ્દે ધારાસભ્ય રીતેશકુમાર વસાવાએ કરજણ જળાશયમાંથી નહેરમાં તાત્કાલિક પાણી છોડવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. ધારાસભ્યની રજૂઆતને પગલે પ્રશાસન દ્વારા નહેરમાં પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કરજણ નહેરમાં પાણી છોડાતા હવે ત્રણેય તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે જરૂરી પાણી ઉપલબ્ધ થશે. ખાસ કરીને સુકાવાના આરે પહોંચેલા તુવેર, કપાસ, શેરડી અને જુવારના પાકને પાણી મળતાં પાક બચવાની આશા ખેડૂતોમાં જાગી છે. સમયસર પાણી મળવાથી ખેડૂતોને સંભવિત મોટું આર્થિક નુકસાન પણ ટળી શકે છે.
નહેરમાં પાણી છોડાવવાની કામગીરી બદલ ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા તાલુકાના ખેડૂતોએ ધારાસભ્ય રીતેશ વસાવા તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
