ભરૂચ:
દહેજ-જોલવા રોડ પર એન્ડવી ટ્રોમા સેન્ટર નજીક બે બાઈક સવારને પાછળથી આવેલા ટેન્કરે અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર એક વ્યક્તિનું ટેન્કરનું પૈડું ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય એકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડાયો હતો. આ અંગે દહેજ પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, રાજસ્થાનના અજમેર ખાતે રહેતા બહાદુરસિંહ હિંગલાજદાન બિડીયા ભાવનગરના હેરાલ્ડ ગ્રુપ નામના ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેમના ગામની બાજુના ગામમાં રહેતા ગણપતસિંહ સત્યદેવ ભાદાચરણ પણ ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. ગત તા. 6 સપ્ટેમ્બરે બંને અલગ-અલગ ટેન્કર લઈને દહેજની રિલાયન્સ કંપનીમાં નાઈટ્રોજન લિક્વીડ ભરવા ગયા હતા.
ગણપતસિંહ ટેન્કરમાં નાઈટ્રોજન લિક્વીડ ભરી દહેજ-જોલવા વચ્ચે આવેલી લિન્ડે કંપનીમાં ખાલી કરવા જઈ રહ્યા હતા. દરમિયાન બહાદુરસિંહને અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો કે ગણપતસિંહનો ટ્રોમા સેન્ટર પાસે અકસ્માત થયો છે અને તેમનું મોત થયું છે. જેથી તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.
તપાસમાં જાણવા મળ્યું હતું કે ગણપતસિંહ સાથે રાકેશ ખડકસિંહ ઠાકુર પણ બાઈક પર સવાર હતા. રાકેશે જણાવ્યું હતું કે તે દહેજ ચોકડીથી જોલવા તરફ જઈ રહ્યો હતો ત્યારે ગણપતસિંહે દહેજ જીએસસીએલ ચોકડી પાસે લિફ્ટ માગી હતી. ગણપતસિંહે જોલવા નજીક કંપની પાસે પોતાની ગાડી પાર્ક હોવાનું કહી ત્યાં ઉતારવા જણાવ્યું હતું.
બંને બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે એન્ડવી ટ્રોમા સેન્ટર પાસેથી પસાર થતાં પાછળથી ધસી આવેલા ટેન્કરે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના પગલે ગણપતસિંહ રોડ પર પટકાયા હતા અને ટેન્કરનું પૈડું તેમના પરથી ફરી વળતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે રાકેશ બાઈક સાથે રોડની સાઈડમાં ફંગોળાઈ જતાં ઈજાગ્રસ્ત થયો હતો.
અકસ્માત સર્જનાર ટેન્કર ચાલક થોડે દૂર વાહન ઊભું રાખી દીધું હતું. તેની ઓળખ મુખ્તાર અહમદ મોહંમદ વાસીનખાન, રહે. અમેઠી, ઉત્તર પ્રદેશ તરીકે થઈ હતી. મૃતકના સાથી બહાદુરસિંહે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
