ગાંધીનગરના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા પત્રકારમિત્રો દ્વારા સેક્ટર-11 સ્થિત અખબાર ભવન ખાતે સ્નેહ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગરના મોટાભાગના પત્રકારો, મીડિયા પ્રતિનિધિઓ, તંત્રીઓ તેમજ વરિષ્ઠ મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. રોજિંદી સમાચાર દોડધામ વચ્ચે યોજાયેલા આ સ્નેહમિલનમાં પત્રકારમિત્રોએ સાથે મળી આનંદની પળો માણી હતી.
શ્રાવણ માસ પૂર્ણ થવાના અવસરે ખાસ દેશી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. લાડુ, દાળ-ભાત સહિતના પરંપરાગત ભોજનનો સૌએ રસાસ્વાદ માણ્યો હતો. ખાસ કરીને લાડુ ખાવાની રમૂજી હરીફાઈ યોજાતા કાર્યક્રમમાં હાસ્ય અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. પત્રકારમિત્રોએ પોતાની વ્યસ્તતામાંથી સમય કાઢી હળવાશભરી પળો માણી હતી.
આ પ્રસંગે શ્રી કૃષ્ણકાંતભાઈ ઝા, શ્રી કિશોરભાઈ અંજારીયા, શ્રી વિપુલભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી અરૂણસિંહ રાજપૂત, ડો. ઈલેવાન ઠાકર, શ્રી પ્રદીપભાઈ રાવલ, શ્રી ધર્મેન્દ્રસિંહ ચાવડા, શ્રી ગૌરાંગ પંડ્યા, શ્રી લક્ષ્મણભાઈ પટેલ, શ્રી સોનલબેન ઉનડકડ, શ્રી વિપુલભાઈ જોશી, શ્રી શ્રેયાંસભાઈ પંડીત, શ્રી હિતેલભાઈ પરિખ સહિતના વરિષ્ઠજનો અને મોટી સંખ્યામાં પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
સ્નેહભોજન દરમિયાન મીડિયા ક્ષેત્ર તેમજ વિવિધ સામાજિક મુદ્દાઓ પર પણ આત્મીય ચર્ચા-વિચારણા થઈ હતી. સમગ્ર કાર્યક્રમ હાસ્ય, આનંદ અને મિત્રતાભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો. ઉપસ્થિત પત્રકારમિત્રોએ આવા સ્નેહમિલન કાર્યક્રમો મીડિયા પરિવારની એકતા, આત્મીયતા અને પરસ્પર સહકારને વધુ મજબૂત બનાવતા હોવાનું જણાવ્યું હતું.
