ભરૂચ :
અંગદાનને મહાદાન ગણાવી માનવસેવાની ભાવનાને પ્રોત્સાહન આપવા ભરૂચમાં અંગદાન પ્રતિજ્ઞા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર અને ડૉ. કિરણ પટેલ મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની વિશેષ હાજરી રહી હતી.
રાજ્યમાં ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત ભરૂચ જિલ્લામાં વિવિધ સેવાલક્ષી અને જનહિતલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અભિયાન હેઠળ ‘સેવા મેરા યોગદાન’ના સંકલ્પ સાથે અંગદાન પ્રતિજ્ઞા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંગદાન કરનાર પરિવારોનું સન્માન
કાર્યક્રમમાં અંગદાન કરનાર પરિવારોને ખાસ આમંત્રિત કરી પ્રશસ્તિ પત્ર અર્પણ કરીને તેમની ઉમદા સેવાને બિરદાવવામાં આવી હતી. સ્વજન ગુમાવવાના દુઃખદ પ્રસંગમાં પણ અન્ય લોકોને નવજીવન આપવાનો નિર્ણય લેનાર પરિવારોની હિંમત અને ઉદારતાને તંત્ર દ્વારા વખાણવામાં આવી હતી.
આ ઉપરાંત ચક્ષુદાન, અંગદાન અને દેહદાન ક્ષેત્રે કાર્યરત સંકલ્પ ફાઉન્ડેશનની કામગીરીને પણ પ્રશસ્તિ આપી સન્માનિત કરવામાં આવી હતી.
‘અંગદાન માનવતાની સર્વોચ્ચ સેવા’
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેએ જણાવ્યું હતું કે, “અંગદાન એ માનવતાની સર્વોચ્ચ સેવા છે. ભરૂચના દાનવીર પરિવારોનું યોગદાન સમાજના અન્ય લોકો માટે સદા પ્રેરણાસ્રોત બની રહેશે.”
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ અંગદાનની પ્રવૃત્તિને વેગ આપવા તથા આ ઉમદા કાર્ય અંગે સમાજમાં વધુ જાગૃતિ ફેલાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ, જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ અંગદાન અને દેહદાન કરનાર પરિવારોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
