ભરૂચ :
ભરૂચ જિલ્લામાં ખુલ્લી ગટર અને અસુરક્ષિત ડ્રેનેજ માળખામાં પડી બે માસૂમ બાળકોનાં કરુણ મોતના બનાવને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ મૃતક બાળકોના પરિવારજનોને તાત્કાલિક રૂ.10-10 લાખની આર્થિક સહાય આપવાની માગ કરવામાં આવી છે.
આમોદ તાલુકાના મચ્છાસરા ગામમાં ખુલ્લી ગટરમાં પડી બે વર્ષના બાળક વિહાનનું મોત થયું હતું. જ્યારે વાલિયા તાલુકાના મોડાલિયા ગામમાં પણ ડ્રેનેજ માળખામાં પડી એક નાબાલિક બાળકનું મોત થયું હોવાના બનાવ સામે આવ્યા છે. બંને ઘટનાઓને કોંગ્રેસે ગંભીર અને ચિંતાજનક ગણાવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ બંને બનાવ અંગે શોક વ્યક્ત કરી મૃતક બાળકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ખુલ્લી ગટર અને અસુરક્ષિત ડ્રેનેજ માળખાંમાં જરૂરી સુરક્ષા વ્યવસ્થાના અભાવે માસૂમ બાળકોના જીવ ગયા છે.
કોંગ્રેસ દ્વારા બંને મૃતક બાળકોના પરિવારજનોને તાત્કાલિક રૂ.10 લાખની સહાય ઉપરાંત સમગ્ર ઘટનાની સમયબદ્ધ, નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવાની માગ કરાઈ છે. બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ, કર્મચારીઓ તથા સંબંધિત એજન્સીઓની જવાબદારી નક્કી કરી કાયદેસરની કાર્યવાહી કરવા પણ જણાવાયું છે.
આ ઉપરાંત ભરૂચ જિલ્લામાં આવેલી તમામ ખુલ્લી ગટર, ડ્રેનેજ લાઇન અને જોખમી ડ્રેનેજ માળખાંનું તાત્કાલિક સર્વેક્ષણ કરી જોખમી સ્થળોએ ઢાંકણાં, બેરિકેડિંગ અને સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવા માગ કરાઈ છે.
જોખમી વિસ્તારોમાં ચેતવણી સૂચના તથા સૂચક બોર્ડ લગાવવા, ડ્રેનેજ માળખાંની નિયમિત તપાસ માટે જવાબદાર અધિકારીઓની નિમણૂક કરવા અને ખુલ્લી ગટર તથા અસુરક્ષિત ડ્રેનેજ માળખાંને સમયબદ્ધ રીતે સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરવા પણ કોંગ્રેસે રજૂઆત કરી છે.
સાથે જ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે જિલ્લા સ્તરે કાયમી સુરક્ષા પ્રોટોકોલ અને જવાબદારી વ્યવસ્થા અમલમાં મૂકવા તથા મૃતક બાળકોના પરિવારજનોને રાહત અને જરૂરી સહાય તાત્કાલિક પૂરી પાડવાની માગ કરવામાં આવી છે.
