ભરૂચ :
નિયામક આયુષ, ગાંધીનગર તથા જિલ્લા વિકાસ અધિકારી, ભરૂચના માર્ગદર્શન અને જિલ્લા આયુર્વેદ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અને પોષણ માસની ઉજવણી અંતર્ગત વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ભરૂચ જિલ્લાના વિવિધ આયુર્વેદ અને હોમિયોપેથી દવાખાનાઓ દ્વારા ૧૧થી વધુ સ્થળોએ એકસાથે વિનામૂલ્યે આયુષ નિદાન-સારવાર કેમ્પ, આરોગ્ય જાગૃતિ પરિસંવાદ, સેમિનાર તેમજ યોગ અભ્યાસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
આ ઉપરાંત પોષણ માસ અંતર્ગત વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે બાળકો અને મહિલાઓ માટે વિશેષ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. સમગ્ર જિલ્લામાં આયોજિત વિવિધ પ્રવૃત્તિઓનો ૪,૦૦૦થી વધુ લાભાર્થીઓએ આયુષ સારવાર અને આરોગ્ય માર્ગદર્શનનો સીધો લાભ લીધો હતો.
૨૩મીએ ભૃગુ ઋષિ મંદિર ખાતે મેગા આયુષ કેમ્પ
રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીની શ્રૃંખલાને આગળ ધપાવતા આગામી ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ભૃગુ ઋષિ મંદિર, ભરૂચ ખાતે વિશાળ ‘મેગા આયુષ નિદાન-સારવાર કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પનું આયોજન આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત ભરૂચ તથા શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ, ભરૂચના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવશે. જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા ભરૂચ જિલ્લાના નાગરિકોને આ મેગા આયુષ કેમ્પનો બહોળા પ્રમાણમાં લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
