ભરૂચ : ભરૂચના શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા સતત ૩૪ વર્ષથી પર્યાવરણને અનુકૂળ ગણેશ પ્રતિમા બનાવવાની પરંપરા જાળવી રાખવામાં આવી છે. આ વર્ષે મંડળના સભ્યોએ અલગ-અલગ ૨૦ પક્ષીઓનાં ૨,૦૦૦થી વધુ રંગબેરંગી પીંછાંનો ઉપયોગ કરીને અનોખી ૯.૫ ફૂટ ઊંચી ગણેશજીની પ્રતિમા તૈયાર કરી છે.
માત્ર રૂ. ૭,૦૦૦ના ખર્ચે અને સતત ૮ દિવસની મહેનત બાદ મંડળના સભ્યોએ આ પ્રતિમા સ્વહસ્તે બનાવી છે. પ્રતિમા બનાવવામાં પ્લાસ્ટર ઓફ પેરિસ (POP)નો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેના બદલે વાંસપટીના સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
શ્રીજીપુરી યુવક મંડળની આ પહેલ દ્વારા ગણેશોત્સવની ઉજવણી સાથે પર્યાવરણ જતનનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. પરંપરાગત સામગ્રીના વિકલ્પ તરીકે કુદરતી અને પર્યાવરણને અનુકૂળ સામગ્રીનો ઉપયોગ કરીને પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. મંડળની ૩૪ વર્ષની પરંપરા અને સભ્યોની સર્જનાત્મક મહેનત ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
