ભરૂચ :
ભરૂચ સ્થિત ફાર્મ બ્રિજ ફાઉન્ડેશનને ખેડૂત અને ગ્રામ વિકાસ ક્ષેત્રે નવીન કામગીરી તથા જળવાયુ પરિવર્તન સામેના પ્રયાસો બદલ ગુજરાત સરકારના જંગલ, પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ મંત્રાલય દ્વારા ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. 16 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે આવેલા સચિવાલયના સ્વર્ણિમ સંકુલમાં ગુજરાત સરકારના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે સંસ્થાને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.
ગુજરાતભરમાંથી ભરૂચની સંસ્થાને મળેલી આ સિદ્ધિને વિશેષ ગણાવવામાં આવી રહી છે. ફાર્મ બ્રિજ ફાઉન્ડેશન દ્વારા CSR, CER અને ટકાઉ ખેતીના માધ્યમથી વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઇનોવેશનના સમન્વય સાથે ખેડૂતો અને ગ્રામ વિકાસ માટે કામગીરી કરવામાં આવી રહી છે.
જળવાયુ પરિવર્તન સામે સહિયારા પ્રયાસોની અપીલ
આ પ્રસંગે સંસ્થાના વહીવટકર્તા અને માર્ગદર્શક મહર્ષિભાઈ દવે તથા નાબાર્ડના ભૂતપૂર્વ ઉચ્ચ અધિકારી રાજેશભાઈ દવેએ જળવાયુ પરિવર્તનથી થતા નુકસાનને ઘટાડવા માટે સહિયારા પ્રયાસો કરવાની અપીલ કરી હતી.
તેમણે ખેડૂતો, પશુપાલન ક્ષેત્ર અને ગ્રામ્ય વિસ્તારોને જળવાયુ પરિવર્તનની અસરો સામે રક્ષણ આપવા સરકારી વિભાગો, સેવાભાવી સંસ્થાઓ અને કંપનીઓને સાથે મળીને CSR પ્રવૃત્તિઓ દ્વારા આગળ વધવા અનુરોધ કર્યો હતો. સંસ્થાના જણાવ્યા મુજબ, વિજ્ઞાન અને નવીન ટેક્નોલોજીના ઉપયોગથી ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો હેતુ છે.
