વાંકલ :
માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલા આઝાદ ચોક ગણેશ પંડાલમાં ગણેશોત્સવ નિમિત્તે ભવ્ય ધાર્મિક અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગણેશ મંડપ ખાતે 500 દીવડાઓ પ્રગટાવીને ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી.
આ મહાઆરતી માંગરોળ પોલીસ મથકના પી.આઈ. દેસાઈ, પી.એસ.આઈ. સાસલા, ભાજપ યુવા પ્રમુખ ડો. યુવરાજસિંહ સોનારીયા, તાલુકા પંચાયત સદસ્ય ઉજાસ ચૌધરી તથા ગણેશ મંડળના પ્રમુખ ડો. કિશોર પટેલના હસ્તે સંપન્ન થઈ હતી.
સાયબર ફ્રોડથી બચવા પોલીસનું માર્ગદર્શન
કાર્યક્રમ દરમિયાન માંગરોળ પોલીસ મથકના પી.આઈ. દેસાઈએ ઉપસ્થિત ગ્રામજનોને વધતા જતા ઓનલાઈન સાયબર ફ્રોડ અંગે જાગૃત કર્યા હતા. અજાણ્યા ફોન, લિંક અને ઓનલાઈન છેતરપિંડીથી બચવા જરૂરી સાવચેતી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા તથા માર્ગ સલામતી અંગે પણ મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી.
ધાર્મિક અને જાગૃતિના આ કાર્યક્રમમાં વાંકલ તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો, શ્રદ્ધાળુઓ અને પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 500 દીવડાની મહાઆરતીથી સમગ્ર ગણેશ પંડાલ ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયો હતો.
