ભરૂચ :
ભરૂચના મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હાજી અહેમદ મુન્શી આઈ.ટી.આઈ. ખાતે તાલીમાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓની ઉજવણી નિમિત્તે ભવ્ય પદવીદાન સમારોહ યોજાયો હતો. સમારોહમાં તાલીમાર્થીઓની મહેનત અને સફળતાને બિરદાવવામાં આવી હતી.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સંસ્થાના ટ્રસ્ટી યુનુસ પટેલ તથા આઈ.ટી.આઈ. હેડ અને કેમ્પસ એડમિન આરીફ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ગર્લ્સ સેક્શનના પ્રિન્સિપાલ લુકમાન સાહેબની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
સમારોહ દરમિયાન વિવિધ ટ્રેડમાં પ્રથમ અને દ્વિતીય ક્રમાંક મેળવનાર તાલીમાર્થીઓને મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, ચાલુ વર્ષે તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર કુલ ૧૭૧ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે યુનુસ પટેલ અને આરીફ પટેલે પ્રેરણાદાયક ઉદ્દબોધન આપ્યું હતું. તેમણે તાલીમાર્થીઓને પ્રામાણિકતા, શિસ્ત અને મહેનત સાથે આગળ વધવા તેમજ સતત નવી કુશળતા પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કર્યા હતા. પ્રાપ્ત કરેલી તાલીમનો સકારાત્મક ઉપયોગ કરી સમાજ અને દેશના વિકાસમાં યોગદાન આપવા પણ અપીલ કરી હતી.
સમારોહમાં તાલીમાર્થીઓના ચહેરા પર સિદ્ધિનો આનંદ જોવા મળ્યો હતો. પદવીદાન સમારોહ તેમના શૈક્ષણિક જીવનના મહત્વપૂર્ણ તબક્કાની પૂર્ણતા અને વ્યાવસાયિક કારકિર્દીની નવી શરૂઆતનું પ્રતીક બન્યો હતો.
કાર્યક્રમના અંતે યુસુફ મતાદારે આભારવિધિ કરી હતી. તેમણે મુખ્ય અતિથિઓ, મહાનુભાવો, સ્ટાફ અને તમામ તાલીમાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર આઈ.ટી.આઈ. સ્ટાફે સહયોગ આપ્યો હતો.
અંતે મુન્શી પરિવાર અને હાજી અહેમદ મુન્શી આઈ.ટી.આઈ. તરફથી તમામ ૧૭૧ તાલીમાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય અને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
