ભરૂચ નગર સેવા સદનની આજરોજ યોજાયેલી સામાન્ય સભામાં શહેરના વિકાસને લઈને મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. પ્રમુખ વિભૂતિ યાદવના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં એજન્ડા પરના 28 તેમજ પ્રમુખ સ્થાનેથી રજૂ કરાયેલા 5 પ્રસ્તાવો સહિત કુલ 33 વિકાસલક્ષી કામોને સભાની મંજૂરી આપવામાં આવી હતી.
બેઠક દરમિયાન શહેરની સફાઈ વ્યવસ્થા અને ભૂગર્ભ ગટર યોજનાને લઈને વિપક્ષ કોંગ્રેસે સત્તાધારી પક્ષ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. શહેરમાં વધતી ગંદકી અને નબળી સફાઈ વ્યવસ્થાને લઈને કોંગ્રેસના સભ્યોએ નગરપાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે ભરૂચ શહેરમાં ડોર ટુ ડોર કચરા સંકલન વ્યવસ્થા કાગળ પર જ સીમિત રહી છે. સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા છતાં જમીન પર તેની અસર દેખાતી નથી. પરિણામે રાજ્યકક્ષાના સ્વચ્છતા સર્વેક્ષણમાં ભરૂચ શહેર પછાત બન્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ દરમિયાન કોંગ્રેસના નગર સેવક હેમેન્દ્ર કોઠીવાલાએ ભૂગર્ભ ગટર યોજનાને લઈને નગરપાલિકાની નિષ્ક્રિયતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે યોજનાને દસ વર્ષ પૂર્ણ થઈ ગયા હોવા છતાં જનતાને આપેલા વચનો હજુ સુધી પુરા થયા નથી અને લોકો હજુ પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
વિપક્ષના આક્ષેપોને જવાબ આપતા નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે જણાવ્યું હતું કે ભરૂચ શહેરમાં ચારે તરફ વિકાસકાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે. શહેરના વિકાસને સહન ન કરી શકવાને કારણે કોંગ્રેસ સામાન્ય સભામાં બિનજરૂરી હોબાળો મચાવી રહી છે તેમ તેમણે જણાવ્યું હતું.
