ભરૂચ નગરપાલિકા દ્વારા વોર્ડ નં. 11 વિસ્તારમાં લાલ બજારથી દાંડિયા બજાર સુધી બનાવવામાં આવી રહેલા ડામર માર્ગની કામગીરીમાં ગુણવત્તાનો અભાવ હોવાના આક્ષેપો સાથે વિવાદ ઊભો થયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, કામગીરી દરમિયાન કોઈ જવાબદાર અધિકારી કે પદાધિકારી સ્થળ પર હાજર ન હોવાથી કામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
મળતી માહિતી પ્રમાણે, ગત રાત્રિના સમયે માર્ગ નિર્માણની કામગીરી ચાલી રહી હતી ત્યારે સ્થાનિક રહેવાસી ધવલ કનોજિયા સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે પાલિકા તરફથી યોગ્ય દેખરેખ વિના જ ડામર માર્ગનું કામ કરવામાં આવી રહ્યું હતું. તેમનો દાવો છે કે ડામર અને કપચીથી તૈયાર કરાયેલો માર્ગ પૂર્ણ થયા બાદ ગણતરીની મિનિટોમાં જ પોપડા ઉખડવા લાગ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો હતો. સાથે જ ટેન્ડરીંગ પ્રક્રિયા અને કામગીરીની ગુણવત્તા અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.
જોકે, આ મામલે ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું હતું કે માર્ગ નિર્માણની કામગીરી પાલિકાના એન્જિનિયર અને કન્સલ્ટન્ટની દેખરેખ હેઠળ જ ચાલી રહી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં ડામર ઉખેડાતું દેખાય છે, પરંતુ તે કામગીરીની પ્રક્રિયા દરમિયાન કરવામાં આવતું હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું.
વધુમાં મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે સવારે પાલિકાના સભ્યો તથા સ્થાનિક લોકો સાથે સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. તેમાં ડામરને યોગ્ય રીતે ચોટવા દેવામાં ન આવતાં તે ઉખાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ફરી ડામર ઉખાડવાનો પ્રયાસ કરતાં તે ઉખડ્યું ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તેમ છતાં, જો કામગીરીમાં કોઈ ખામી જણાશે તો લેબ ટેસ્ટિંગ કરાવી કોન્ટ્રાક્ટર સામે જરૂરી કાર્યવાહી હાથ ધરવાની ખાતરી પણ તેમણે આપી હતી.
માર્ગ નિર્માણને લઈને સ્થાનિકોમાં અસંતોષ યથાવત જોવા મળી રહ્યો છે અને ગુણવત્તા મુદ્દે ઊઠેલા સવાલોને લઈ પાલિકા હવે શું પગલાં ભરે છે તે અંગે લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
