અમલેશ્વર બાન્ચથી માતરિયા તળાવ સુધી નવી એમએસની પાઈપ લાઈન નંખાશે
આખા દિવસમાં એકવાર માત્ર સવાથી દોઢ કલાક સુધી જ પાણી મળશે
ભરૂચ
ભરૂચ શહેરમાં પાણી પુરૂ પાડતાં માતરિયા તળાવમાં ચાવજ અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી પિવાનુ પાણી પુરુ પાડવામાં આવ છે. જોકે, હાલમાં કેનાલથી માતરિયા તળાવ સુધી ૧૪૨૨ એમએમ વ્યાસની એમએસ પાઈપ લાઈન નાંખવામાં આવનાર છે. જે કામગીરીને પગલે ૧૨મી ફેબ્રુઆરીથી ૧૯ ફેબ્રુઆરી સુધી કેનાલમાંથી માતરિયા તળાવમાં પાણી આવી શકે તેમ ન હોવાથી માતરિયા તળાવના પાણીથી જ શહેરની પાણીની જરુરિયાત પુરી પાડવામાં આવશે. જેના પગલે નગરપાલિકાએ આ સમયગાળા દરમિયાન એક ટાઈમ પાણી આપવાનું નક્કી કર્યું છે. તેમજ તે માટે પાણી વિતરણનો નવો સમય નક્કી કરવામાં આવતાં શહેરની ૨ લાખથી વસ્તીને એક સમયનો પાણી કાપનો સામનો કરવો પડશે. આ અંગે પાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલે જણાવ્યુ હતુ કે, નગરપાલિકા દ્વારા વીસેક વર્ષ પહેલાં અમલેશ્વર બાન્યથી માતરિયા તળાવ સુધી મોટા ડાયામિટરની આરસીસીની પાઈપ લાઈન નાંખવામાં આવી હતી. જે સમયાંતરે પાઈપ લાઈન ખરાબ થતાં કેટલાંક સ્થળેથી લીકેજ થવા લાગી હતી. દરમિયાનમાં ગુજરાત શહેરી વિકાસ કંપની કંપનીના સુપરવિઝનમાં નવી પાઈપલાઈન નાંખવાની કામગીરી શરુ થઈ છે. ત્યારે શ્રવણ ચોકડી, નારાયણ ગાર્ડન સોસાયટી, ગરમિયા કાંસ પાસે તેમજ હયાત હોટલ પાસે પાઈપ લાઈન ક્રોસિંગ, પુશિંગ કરવાની કામગીરી થશે તા.૧૨ મી ફેબ્રુઆરીથી તા.૧૯ મી ફેબ્રુઆરી દરમ્યાન માતરિયા ઈન્ટેકવેલ ખાતેથી પાણી ઉપાડવાનું બંધ રહેનાર છે જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત બે સમયના બદલે એક સમય પાણી પુરવઠો આપવામાં આવશે. નાગરિકોને પાણીનો સંગ્રહ સાથે જોઈતો ઉપયોગ કરવો, અનાવશ્યક વેડફાટ ટાળવા અને તાત્કાલીક વ્યવસ્થામાં સહકાર આપવા અપીલ કરી છે.
