કહેવાય છે કે જો મનમાં અતૂટ શ્રદ્ધા અને કંઈક કરી છૂટવાની તમન્ના હોય, તો ગમે તેટલો લાંબો રસ્તો પણ ટૂંકો લાગે છે. આવું જ કંઈક સાબિત કરી રહ્યા છે સુરતના બે મિત્રો રોહિત બારિયા અને સાહિલ ઉનાગર. અગાઉ અનેક ધાર્મિક સ્થળોની સાયકલ યાત્રા કર્યા બાદ, હવે આ યુવાનો સુરતથી દ્વારકાની પદયાત્રાએ નીકળ્યા છે.
સુરતના વતની રોહિત અને સાહિલ જ્યારે “જય દ્વારકાધીશ” અને “હર હર મહાદેવ”ના નાદ સાથે નીકળ્યા, ત્યારે રસ્તામાં લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ભગવા વસ્ત્રો અને હાથમાં તિરંગા સાથે આ યુવાનો અંકલેશ્વર પહોંચ્યા ત્યારે તેમની ઉર્જા જોવા જેવી હતી.
આ કોઈ પહેલીવાર નથી કે આ યુવાનો સાહસ કરી રહ્યા હોય. રોહિત બારિયાએ જણાવ્યું હતું કે અમે અગાઉ 2024 માં સુરતથી દ્વારકાની સાયકલ યાત્રા કરી હતી. તે સિવાય ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, અમરનાથ અને નેપાળના પશુપતિનાથ સુધી પણ અમે સાયકલ પર જઈ આવ્યા છીએ.
આ વખતે સાયકલ છોડીને પદયાત્રા કરવાનું કારણ સમજાવતા તેઓ કહે છે કે, જીવનમાં મુશ્કેલીઓ આવવી જરૂરી છે, કારણ કે તેનાથી જ ઘણું નવું શીખવા મળે છે. પદયાત્રા દ્વારા તેઓ દરેક રાજ્ય અને શહેરની સંસ્કૃતિ અને લોકો સાથે વધુ નજીકથી જોડાઈ શકે છે.
હાલમાં આ યુવાનો અંકલેશ્વર પહોંચ્યા છે. ત્યાંના સ્થાનિક લોકોના પ્રેમ અને સહકારથી તેઓ ખૂબ પ્રભાવિત થયા છે. તેઓ માને છે કે ભગવાનના દર્શનનો સાચો આનંદ ત્યારે જ આવે જ્યારે તમે સંઘર્ષ કરીને ત્યાં પહોંચો.
આ પદયાત્રા આગામી 15 થી 20 દિવસમાં પૂર્ણ થશે અને તેઓ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવશે. આજના સમયમાં જ્યારે યુવા પેઢી ટેકનોલોજીમાં વ્યસ્ત છે, ત્યારે રોહિત અને સાહિલ જેવા યુવાનો ભક્તિ અને સાહસનો અનોખો સંગમ રજૂ કરી રહ્યા છે.
