ભરૂચ નેશનલ હાઈવે પર ટેન્કરનું ઓઈલ લિક થતાં દુર્ઘટના સર્જાઈ
। ભરૂચ !
ભરૂચ નેશનલ હાઈવે પર રાત્રીના સમયે સ્વામિનારાયણ મંદિર સામે એક ટેન્કરમાંથી અચાનક ઓઈલ લિકેજ થતાં આખા રોડ પર ઓઈલ પ્રસરી ગયું હતું. જેના કારણે ત્યાંથી પસાર થતાં દ્વિચક્રીય વાહન ચાલકો સ્લીપ થઈ જતાં હોવાની ઘટનાઓ બની હતી. રાત્રીના સમયે એક બાદ એક સાતથી આઠ બાઈક-મોપેડ સ્લીપ થઈ હોવાનું અકસ્માતનો ભોગ બનેલાં બાઈક ચાલકે વાયરલ કરેલાં વિડિયોમાં જાણવા મળ્યું છે.
વિડીયો વાયરલ કરનારે જણાવ્યું હતું કે, રાત્રીના સમયને કારણે રોડ પર ઢોળાવેલું ઓઈલ નહીં દેખાતાં બાઈક-મોપેડ તેના પરચી પસાર થતાં સ્વીપ થઈ જતી હતી. અકસ્માતોની વણઝારમાં ચાલક સહિત તેમની સાથે બેસેલાં પરીવારજનો, પરીચિતો પણ રોડ પર પટકાયાં હતાં. સદનશીબે તેમને માત્ર વાહનને સામાન્ય નુકસાન થવા સાથે તેમને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. જોકે, વિડિયોમાં તેમણે આક્ષેપ પણ કર્યો હતો કે, તેમણે સંબંધિત લોકોને ફોન કરી ઘટનાથી વાકેફ કરી હોવા છતાં કોઈ ત્યાં અડધો પોણો કલાક સુધી આવ્યું ન હતું. બીજી તરફ સમગ્ર ઘટના દરમિયાન લોકોમાં ભય પણ ફેલાયો હતો કે, કોઈ ટુવ્હિલર સ્લીપ થાય અને પાછળથી કોઈ મોટું વાહન આવી જાય તો જાનહાની થઈ શકે છે. જો કે, તે પહેલાં સંબંધિત વિભાગના લોકોએ આવી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી જરુરી કામગીરી હાથ ધરી હતી.
