ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
ભરૂચ.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં વિકાસકાર્યોને નવી દિશા આપતા નેશનલ હાઇવે નં. 48થી મનન આશ્રમને જોડતા માર્ગના નવીનીકરણ માટે રૂ. 1.30 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવશે. આ મહત્વપૂર્ણ વિકાસકાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું.
રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ્ય સડક યોજના અંતર્ગત આશરે 1400 મીટર લંબાઈ ધરાવતા આ માર્ગના નવનિર્માણને મંજૂરી આપવામાં આવી છે. યોજનાનુસાર 700 મીટર આર.સી.સી. રોડ તથા 700 મીટર ડામર રોડનું નિર્માણ કરવામાં આવશે, જેના પરિણામે માર્ગ વધુ મજબૂત, સુગમ અને સુરક્ષિત બનશે.
આ માર્ગના નવીનીકરણથી મનન આશ્રમ, નીલકંઠેશ્વર મહાદેવ મંદિર તેમજ નર્મદા પાર્ક જેવા ધાર્મિક અને પર્યટન સ્થળો સુધી પહોંચવું સરળ બનશે. સાથે જ સ્થાનિક રહેવાસીઓ, વિદ્યાર્થીઓ અને વેપારીઓને પણ અવરજવર માટે મોટી રાહત મળશે.
ખાતમુહૂર્ત પ્રસંગે શૈલાબહેન પટેલ, કૌશિકભાઈ પટેલ સહિતના આગેવાનો, સ્થાનિક નાગરિકો તથા વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
