ભરૂચ જિલ્લામાં જમીન પચાવી પાડવાના ગુનાઓમાં છેલ્લા સાત વર્ષથી નાસતો ફરતો આરોપી અંતે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે. જિલ્લા પોલીસ વડા અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વોન્ટેડ અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ચાલી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત આ સફળતા મળી છે.
પોલીસ મહાનિરીક્ષક તથા જિલ્લા પોલીસ અધિક્ષકના સૂચનાના અનુસંધાને એલ.સી.બી.ની અલગ-અલગ ટીમો બનાવી માનવ ગુપ્તચર માહિતી (હ્યુમન ઈન્ટેલિજન્સ) અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે વર્ષ 2022માં નબીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જમીન ફ્રોડના ગુનામાં સંડોવાયેલ અને લાંબા સમયથી ફરાર આરોપી પરાગભાઈ ગીરધરભાઈ ગણાત્રા વાપી વિસ્તારમાં હોવાની હકીકત સામે આવી હતી.
માહિતી મળતાં જ એલ.સી.બી.ની ટીમ વાપી ખાતે પહોંચી ભીલાડ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. સ્થાનિક બાતમીદારોની મદદથી ચોક્કસ માહિતી મેળવી અંતે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરી હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે. કાયદેસરની કાર્યવાહી બાદ આરોપીને ભરૂચ શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
પકડાયેલ આરોપી પરાગભાઈ ગણાત્રા, હાલ અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહે છે. તેના વિરુદ્ધ અહેમદાવાદ, સુરત અને ભરૂચ સહિતના શહેરોમાં જમીન સંબંધિત છેતરપિંડી અને દસ્તાવેજ કૌભાંડના અનેક ગુનાઓ નોંધાયેલા છે. નબીપુર, અમદાવાદના વસ્ત્રાપુર અને સુરતના અલથાણ પોલીસ સ્ટેશનોમાં તેના વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા છે.
આ કામગીરી પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ.વી. શિયાળીયા તથા તેમની ટીમ—એએસઆઈ જયેશભાઈ મિસ્ત્રી, મહીપાલસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતના કર્મચારીઓએ ટીમવર્કથી સફળ બનાવી છે.
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરીથી લાંબા સમયથી ફરાર આરોપી કાયદાના કબજામાં આવતાં પોલીસ વિભાગની કામગીરીને સરાહના મળી રહી છે.
