Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લામાં અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા ૨૧૨ શિક્ષણ સહાયકોને નિમણુંક અપાઈ.

Share

આજે સમગ્ર રાજ્યમાં ૨૯૩૮ નવનિયુક્ત શિક્ષણ સહાયકોને નિમણૂક પત્ર એનાયત કરવાનો વર્ચ્યુઅલ કાર્યક્રમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરથી યોજાયો હતો. ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ નવનિયુક્ત થયેલા ૨૧૨ શિક્ષકોને નિમણુંક આપવા માટેનો કાર્યક્રમ જિલ્લા સેવા સદન અને બીઆરજીએફ ભવન ખાતે યોજાયો હતો. જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર અમિત અરોરાએ ૨૦ શિક્ષકોને નિમણુંક પત્ર આપી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા શિક્ષણ વિભાગમાં નવનિયુક્ત શિક્ષણ સહાયકોને આવકાર આપતા તેમણે જણાવ્યું હતું કે જિલ્લા શિક્ષણ સેવામાં યુવા બ્રિગેડના જોડાવાથી શૈક્ષણિક માનવબળ વધુ મજબૂત બન્યું છે, ઉચ્ચતર શિક્ષણની સેવા વધુ બળવત્તર અને વધુ ગુણવત્તાસભર બનશે. તેઓએ વિશેષમાં જણાવ્યું કે, કોરોનાના કપરાકાળથી લઇ તમામ પ્રકારના ડિઝાસ્ટર, જનજાગૃતિ કાર્યક્રમમાં શિક્ષકોની ભૂમિકા મહત્ત્વની રહી છે. કોરોના કાળમાં શિક્ષણ વિભાગના સેવા કર્મીઓ દ્વારા સર્વેની ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવી હતી. સમાજ માટે શિક્ષકો હંમેશા પ્રેરણા સ્વરૂપ રહ્યા છે અને જિલ્લામાં નિયુક્તિ મેળવનારા આ શિક્ષણ સહાયકો જિલ્લામાં ઉચ્ચતર શિક્ષણના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠતા પામવા માટે જરૂરી વાતાવરણ અને માર્ગદર્શન પૂરું પાડશે અને એક સ્વસ્થ સશક્ત સમાજના નિર્માણની પ્રક્રિયામાં ભાગીદાર બનશે.

બીઆરજીએફ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નિયામકશ્રી શાળાઓની કચેરીના નાયબ શિક્ષણ નિયામકશ્રી વાય. એચ. પટેલે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ કાળમાં પણ અત્યંત ઝડપથી આ ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ થઈ છે તે ઉમેદવારો માટે લાભદાયક બાબત રહી છે. શિક્ષક વિદ્યાર્થીઓનું ભાવિ ઘડે છે અને આજીવન તેમની પ્રેરણા બને છે ત્યારે પોતાની ભૂમિકાનું મહત્વ સમજી શિક્ષણના ઉચ્ચ મૂલ્યોને અનુસરી જિલ્લામાં ઉચ્ચ શિક્ષણની ક્ષિતિજો વિસ્તારવા માટે કાર્યરત થવા નવનિયુક્ત શિક્ષકમિત્રોને તેમણે હાકલ કરી હતી. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બી.એસ.પંચાલ દ્વારા નિયુક્તિ મેળવનાર શિક્ષકોને આવકાર આપતા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું.

અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે ૨૧૨ શિક્ષકોની નિમણુંક કરવામાં આવી છે તેમાં ઇંગ્લિશના ૭૭, ગુજરાતીના ૨૮, સોશિયોલોજીના ૩૦, સંસ્કૃતના ૧૪, સાયકોલોજીના ૧૨, હિંદીના ૧૦,ઈતિહાસના ૦૯, કોમર્સના ૧૭, કોમ્પ્યુટરના ૦૧, તત્વજ્ઞાનનાં ૨, ઇકોનોમિક્સના ૦૮, બાયોલોજીના ૧, કેમિસ્ટ્રીના ૦૧, મેથ્સના ૧, ફિઝિક્સના ૦૧ શિક્ષણ સહાયકોને નિમણુંક કરવામાં આવી છે.

જિલ્લા સેવા સદન, ગોધરા ખાતે ૨૦ શિક્ષકોને નિમણુંકપત્ર આપ્યા બાદ બાકીના શિક્ષકોને બીઆરજીએફ ભવન ખાતે મહાનુભાવોના હસ્તે નિમણુંકપત્ર આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.એમ.પટેલ, રાજ્ય કક્ષા ભરતી પસંદગી સમિતિના સભ્ય એ.કે. પટેલ, જિલ્લા શાળા સંચાલક મંડળના અધ્યક્ષ પી.ડી.સોલંકી તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

ગ્રીષ્મોત્સવ 2022 સમાપન સમારંભ કાર્યક્રમ પાલડી અમદાવાદ ખાતે યોજાયો.

ProudOfGujarat

મહારાષ્ટ્રનાં રાયગઢમાં બસ ખીણમાં ખાબકતાં 8 મુસાફરોના મોત

ProudOfGujarat

નર્મદાના કુંવરપરા ગામની સીમમાં જુગારની રેડ કરતા રોકડ રકમ સહિત ચારની ધરપકડ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!