જિલ્લા જેલના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગતરોજ તા. 02/03/2026 ના રોજ સંધ્યાકાળે પોતાના પરિવારજનો સાથે પ્રથમ વખત જેલ પ્રાગણમાં હોળી પર્વ નિમિત્તે હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલ પરિસરમાં ધાર્મિક અને ઉત્સાહભેર માહોલ વચ્ચે આ કાર્યક્રમ યોજાયો હતો.
હોળી પર્વની પૌરાણિક કથા મુજબ રાજા હિરણ્યકશ્યપ અને ભગવાન પ્રત્યે અડગ ભક્તિ ધરાવતા ભક્ત પ્રહલાદની જીવનગાથા સાથે સંકળાયેલી આ ઉજવણી ભક્તિ, સત્ય અને ધર્મની જીતનું પ્રતિક માનવામાં આવે છે. હોલિકા દહન દ્વારા દુષ્ટ પર સજ્જનતાની જીતનો સંદેશ આપવામાં આવે છે.
કાર્યક્રમ દરમિયાન વિધિવત રીતે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ જીવનમાંથી નકારાત્મક ઊર્જા, અહંકાર અને દુર્વિચારને તિલાંજલી આપી હોળીની પવિત્ર જ્વાળામાં ભસ્મ કરવાની પ્રેરણા મેળવી હતી. સાથે જ સકારાત્મકતા, પ્રેમ, સૌહાર્દ અને એકતાનો સંદેશ આપતા ઉત્સાહભેર હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
