નર્મદા.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સામરપાડા (ચપાવી) ગામના રહેવાસી શાંતિલાલ મુલજીભાઈ વસાવાને સગીર બાળકીના અપહરણ અને બળાત્કારના ગંભીર ગુનામાં અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે.
આ મામલો નર્મદા જિલ્લાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં પોકસો કેસ નંબર 30/2021 તરીકે ચાલી રહ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે. ગોહિલે ધારદાર દલીલો અને પુરાવા રજૂ કર્યા હતા, જેને અદાલતે ગ્રાહ્ય રાખ્યા હતા.
રાજપીપળાની એડિશનલ સેશન્સ કોર્ટના જજ એ.વી. હિરપરાએ આરોપીને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 363, 376(2)(3)(એન)(જે), 506(2) તેમજ પોકસો એક્ટની કલમ 4 અને 6 હેઠળ દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. ઉપરાંત આરોપીને ₹80,000 દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કોર્ટના આદેશ મુજબ ભોગ બનનાર બાળકી માટે ₹2 લાખ વળતર ચૂકવવાનો પણ હુકમ આપવામાં આવ્યો છે. જ્યારે ₹80,000 ના દંડમાંથી ₹50,000 ની રકમ ભોગ બનનારને ચૂકવવાની રહેશે.
કેસની હકીકત મુજબ આરોપીએ 14 વર્ષ 9 મહિનાની સગીર બાળકીનું મોજે કુનબાર ગામેથી મોટરસાયકલ પર અપહરણ કરી તેને અલગ અલગ જગ્યાએ લઈ જઈ ધમકી આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં સાક્ષીઓ, વૈજ્ઞાનિક પુરાવા અને દસ્તાવેજી પુરાવાઓ તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓના આધાર પર અદાલતે આરોપીને કડક સજા ફટકારી છે.
