પાઈપલાઈન મારફતે છેક અમારા અંતરિયાળ ખેતર સુધી પાણી પહોંચશે, જેનાથી બારેમાસ ખેતી કરી શકીશું: ઉમરપાડાના ચારણી ગામના ખેડૂત ઉત્તમભાઈ વસાવા
વાંકલ
સુરત જિલ્લાના ઉમરપાડા અને નર્મદા જિલ્લાના દેડીયાપાડા જેવા પહાડી અને અંતરિયાળ વિસ્તારો માટે ‘તાપી-કરજણ લિંક પાઈપલાઈન ઉદ્વહન સિંચાઈ યોજના’ આશીર્વાદ બની છે. આ યોજનાનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે થવા જઈ રહ્યું છે, ત્યારે આ યોજના માત્ર ખેતરો સુધી પાણી પહોંચાડવાનું માધ્યમ જ નહીં, પરંતુ આદિવાસી પટ્ટાના ખેડૂતો માટે આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલનારી સાબિત થશે.
ઉમરપાડા તાલુકાના ચારણી ગામના ૫૯ વર્ષીય ખેડૂત ઉત્તમભાઈ વસાવા જણાવે છે કે, અમારો તાલુકો વિસ્તાર ડુંગરાળ અને ઉચાણવાળો હોવાથી અત્યાર સુધી વરસાદનું પાણી વ્યર્થ વહી જતું હતું, જેના કારણે તેઓ માત્ર ચોમાસાનો એક જ પાક લઈ શકતા હતા. પરંતુ રાજ્ય સરકારના પ્રતાપે સાકાર થયેલી આ યોજના દ્વારા હવે પાઈપલાઈન મારફતે છેક અમારા અંતરિયાળ ખેતર સુધી પાણી પહોંચશે, જેનાથી બારેમાસ ખેતી કરી શકીશું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હવે ખેડૂતો વર્ષ દરમિયાન ત્રણ-ત્રણ પાક અને રોકડિયા પાકો લઈ શકશે. દૂધાળા પશુઓ માટે ત્રણેય સિઝનમાં પૂરતો ઘાસચારો મળી રહેશે. ખેતીમાં સમૃદ્ધિ આવવાથી ખેડૂત પરિવારો આર્થિક રીતે સક્ષમ બનશે અને તેમના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી શકશે. તાપી-કરજણ લિંક પાઈપલાઈન દ્વારા પહાડી વિસ્તારમાં ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવું એ સરકારની અદભૂત ઈજનેરી સિદ્ધિ છે એમ જણાવી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
