ભરૂચ
ભરૂચ સ્થિત જીએનએફસી કંપનીના પ્લાન્ટમાં બોઈલરની સફાઈ દરમિયાન અકસ્માત સર્જાતા ૮ કર્મચારીઓ દાઝી જવાના બનાવે ખળભળાટ મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં કંપની સંચાલકોએ તાત્કાલિક તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે કંપનીની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રિના સમયે પ્લાન્ટમાં બોઈલરની સફાઈ કરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન કેટલાક કર્મચારીઓ બોઈલરમાં જામી ગયેલી રાખની સફાઈ કરી રહ્યા હતા. તે સમયે બોઈલરના બોટમ ઍશ હોપરની સફાઈ દરમ્યાન રાખનો ગઠ્ઠો નીચે રહેલા પાણીમાં પડતા ગરમ પાણી અચાનક ઉછળ્યું હતું.
ગરમ પાણી ઉછળતા એક કર્મચારીના ચહેરા અને છાતી સહિતના ભાગે પાણી પડતાં તે દાઝી ગયો હતો. સાથે જ નજીકમાં કામ કરી રહેલા અન્ય કર્મચારીઓ પર પણ ગરમ પાણી ઉડતાં કુલ ૮ કર્મચારીઓ દાઝી ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ આસપાસના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક કંપનીની નર્મદાનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. કંપની સત્તાધિશોએ જણાવ્યું હતું કે તમામ કર્મચારીઓની હાલત હાલ સ્થિર છે અને સુધારા પર છે.
