ભરૂચ.
અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર–48 પર રવિવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સુરત તરફથી આવી રહેલી એસ.ટી. બસ ટ્રક સાથે અથડાતા થોડા સમય માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે સદભાગ્યે બસમાં સવાર આશરે 40 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટના નવજીવન હોટલ પાસે બની હતી. પ્રાથમિક માહિતી મુજબ એક ટ્રક રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે પાછળથી આવી રહેલી એસ.ટી. બસ તેની સાથે ભટકાઈ હતી. અકસ્માત બાદ સ્થળ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રાહત કામગીરી હાથ ધરી હતી. બસમાં સવાર મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ મુસાફરને ગંભીર ઈજા પહોંચી ન હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતને કારણે નેશનલ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી વાહનોની અવરજવર ફરી શરૂ કરાવી હતી. હાલ પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
