ભરૂચ શહેરના તુલસીધામ વિસ્તારમાં વ્યાજખોરીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. વિસ્તારના કપડાના વેપારી દિલીપકુમાર ઓમપ્રકાશ સુધારે વ્યાજખોર સામે સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ફરિયાદ મુજબ, વર્ષ 2022 દરમિયાન વેપાર માટે નાણાકીય જરૂરિયાત ઊભી થતાં દિલીપકુમાર સુધારે આરોપી અજયભાઈ મહેન્દ્રકુમાર શાહ પાસેથી ₹3 લાખ ઉધાર લીધા હતા. આ રકમ 10 મહિનામાં 5 ટકા વ્યાજ સાથે પરત કરવાની શરત રાખવામાં આવી હતી. સુરક્ષા રૂપે ફરિયાદીએ આરોપીને ત્રણ કોરા ચેક પણ આપ્યા હતા.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ત્યારબાદ આરોપીએ વ્યાજના નામે સતત વધુ રકમની માંગણી શરૂ કરી હતી અને દબાણ કરીને ફરિયાદી પાસેથી આશરે ₹18 લાખ સુધીની રકમ વસૂલવામાં આવી હતી. તેમ છતાં આરોપી દ્વારા ઉઘરાણી અને ધમકીઓનો ત્રાસ યથાવત રાખવામાં આવ્યો હતો.
વેપારીએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે આરોપી અનેક વખત તેમની દુકાને આવી ગાળાગાળી કરી ધમકીઓ આપતો હતો તેમજ મારપીટ પણ કરતો હતો. એક પ્રસંગે ફરિયાદીને બળજબરીથી કારમાં બેસાડી અન્ય સ્થળે લઈ જઈ માર મારવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવાર સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી વધુ પૈસા આપવા દબાણ કરાયું હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો હોવાની ચર્ચા ચાલી રહી છે, જેના કારણે મામલો વધુ ગંભીર બન્યો છે. આ ત્રાસથી કંટાળીને વેપારીએ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી આરોપી સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પોલીસે અરજીના આધારે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. જો આરોપો સાચા સાબિત થશે તો વ્યાજખોરી, ધમકી અને મારપીટ જેવા ગુનાઓ હેઠળ આરોપી સામે કડક કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
