ભરૂચ શહેર તેમજ જિલ્લામાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા તેમના નવવર્ષના પ્રારંભરૂપ મહાપર્વ ‘ગુડી પડવા’ની ધાર્મિક અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. પર્વ નિમિત્તે પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ પરંપરાગત મહારાષ્ટ્રીયન વેશભૂષા ધારણ કરી ઘેરઘેર ગુડી સ્થાપિત કરી પૂજા-અર્ચના કરી હતી.
ચૈત્ર માસના પ્રારંભ સાથે ઉજવાતા આ પર્વને મહારાષ્ટ્ર સહિત દેશભરમાં વિશેષ મહત્વ આપવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ, ભગવાન શ્રી રામએ વાલીનો સંહાર કરીને વિજય મેળવ્યો હતો, જેના પ્રતીકરૂપે ગુડી સ્થાપિત કરવાની પરંપરા શરૂ થઈ હતી.
ભરૂચ જિલ્લામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકોએ પોતાના ઘરોમાં ગુડી ઉપર તાંબાનો કલશ સ્થાપિત કરી તેને આકર્ષક રેશમી વસ્ત્રોથી શોભિત કરી પૂજા અર્ચના કરી હતી. સાથે જ ચૈત્ર નવરાત્રીના પ્રારંભ નિમિત્તે સૂર્યનારાયણની આરાધના કરવામાં આવી હતી. પરંપરા મુજબ લીમડાના રસની પ્રસાદી ગ્રહણ કરીને આરોગ્ય અને સુખાકારીની પ્રાર્થના કરવામાં આવી હતી.
આ રીતે ભરૂચ જિલ્લામાં મહારાષ્ટ્રીયન સમાજે ભક્તિભાવ અને પરંપરાની સાથે ‘ગુડી પડવા’ પર્વની ઉજવણી કરીને નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી.
