કંટવા ગામે કેનાલ તૂટતા ખેતરોમાં પાણી ફરી વળ્યું, મરામત છતાં હાલત યથાવત રહેતા પ્રશ્નો ઉઠ્યા
વાંકલ :
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કંટવા ગામની સીમમાં ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં ભંગાણ પડતાં આસપાસના વિસ્તારોમાં ખેતીને ભારે નુકસાન થયું છે. ભંગાણના કારણે પાણી ખેતરોમાં ફરી વળતા ઉભા પાકને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિક ખેડૂતો મુજબ, દર વર્ષે કેનાલના મરામત અને મોડિફિકેશનના કામના બહાને 100 થી 150 દિવસ સુધી પાણી રોટેશન બંધ રાખવામાં આવે છે. છતાં પણ કેનાલની હાલતમાં કોઈ ખાસ સુધારો થતો નથી અને વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે. આ પરિસ્થિતિને લઈને જળ સંપત્તિ વિભાગની કામગીરી પર સવાલો ઊભા થયા છે.
આ મામલે કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોળાએ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે કરોડો રૂપિયાનો ખર્ચ થવા છતાં કામની ગુણવત્તા નબળી છે અને વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ખાસ નોંધનીય છે કે આ ઘટના રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના નજીકના વિસ્તારમાં બની છે, જેને લઈને જવાબદારી અંગે પ્રશ્નો ઊભા થયા છે.
કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કેટલીક માંગણીઓ રજૂ કરવામાં આવી છે, જેમાં અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક અને યોગ્ય વળતર ચૂકવવું, કેનાલ ભંગાણ માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે ફોજદારી કાર્યવાહી કરવી, છેલ્લા વર્ષોમાં થયેલા મરામત ખર્ચની ઉચ્ચ સ્તરીય તપાસ તથા સમગ્ર કેનાલ સિસ્ટમનું સ્વતંત્ર ટેક્નિકલ ઓડિટ કરવાની માંગણી સામેલ છે.
કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો સરકાર આ મુદ્દે તાત્કાલિક પગલાં નહીં ભરે તો ખેડૂતોના હિતમાં આંદોલન અને કાનૂની લડત બંને હાથ ધરવામાં આવશે.
