વરાછા રોડના મિત્રમંડળ મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યું હતું, સ્પીડમાં કાર કન્ટેનર સાથે અથડાતા દુર્ઘટના
ભરૂચ : સુરત શહેરના વરાછા રોડ વિસ્તારમાં આવેલ હિરાભાગના રહેવાસી મહેન્દ્ર તુલસીભાઈ ગોહિલના પુત્ર સુમિતનું ભરૂચ નજીક ન્યુ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે તેના બે મિત્રો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યાં છે.
મળતી માહિતી અનુસાર, સુમિત ૧૭મી માર્ચના રોજ તેના મિત્ર કપીલ મહારાજની કારમાં નિગમ મુકેશ રાઠોડ અને યુગ કમલેશ દેસાઈ સાથે આણંદ જિલ્લાના મલાતજ નજીક સુત્રાજી ખાતે આવેલા માતાજીના મંદિરે દર્શનાર્થે ગયા હતા. દર્શન કર્યા બાદ વહેલી સવારે તેઓ સુરત પરત ફરી રહ્યા હતા.
આ દરમિયાન ન્યુ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભરૂચ નજીક પહોંચતાં કાર તેજ ગતિમાં હોવાથી આગળ ચાલી રહેલા કન્ટેનર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ હાઈવે એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢ્યા હતા.
અકસ્માતમાં આગળ ક્લીનર સાઈડમાં બેઠેલા સુમિતને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું સ્થળ પર જ કરુણ મોત થયું હતું. જ્યારે પાછળ બેઠેલા નિગમ રાઠોડ અને યુગ દેસાઈને ગંભીર ઈજાઓ થતાં તેમને એમ્બ્યુલન્સ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં મૃતક તથા ઈજાગ્રસ્તોના પરિવારજનો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. યુવાન પુત્રના અચાનક મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને વાતાવરણ ગમગીન બની ગયું હતું.
બનાવ અંગે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
