વાંકલ:
ઉમરપાડા તાલુકા હિત રક્ષક સમિતિ, ગુજરાત રાજ્ય દ્વારા ઉમરપાડા મામલતદારને આવેદનપત્ર પાઠવી મહત્વપૂર્ણ મુદ્દે તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. સમિતિના આગેવાનોના જણાવ્યા મુજબ રાજ્યપાલને ઉદ્દેશીને આંદોલનાત્મક રીતે રેલી યોજી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
આ રેલીનું નેતૃત્વ અમીષ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી બાદ ઉમરપાડા મામલતદારને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું.
આવેદનમાં જણાવાયું છે કે આમ આદમી પાર્ટીના મહામંત્રીની પત્ની નિધિબેન દ્વારા “વસાવા” અટકના ઉપયોગ મુદ્દે પ્રશ્નો ઉઠ્યા છે. આદિવાસી આગેવાનો દ્વારા આ મુદ્દે બંધારણીય અધિકારો પર તરાપ મારવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ ખોટા જાતિ પ્રમાણપત્ર દ્વારા લાભ મેળવવાનો પ્રયાસ થતો હોવાનો સંદેહ પણ વ્યક્ત કર્યો છે.
સમિતિએ આ સમગ્ર મામલાની તટસ્થ અને સઘન તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. રેલી દરમિયાન આદિવાસી સમાજના લોકોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.
