સેલંબા: સમગ્ર ભારત સાથે સેલંબા નગરમાં પણ મહાવીર જયંતીની ઉજવણી જૈન સમાજ દ્વારા ભક્તિભાવ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. અહિંસાના ઉપદેશ માટે જાણીતા ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક નિમિતે ૩૧મી માર્ચે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રસંગે ખોચરપાડા રોડ સ્થિત જૈન મંદિર પરથી ભવ્ય વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેન્ડવાજા સાથે નીકળેલા વરઘોડાએ સેલંબા નગરના મુખ્ય માર્ગો પર ફેરો કર્યો હતો અને પુનઃ જૈન મંદિર ખાતે આવી પૂર્ણ થયો હતો.
વરઘોડામાં જૈન સમાજના અનુયાયીઓ સાથે નાના બાળકો અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર વાતાવરણ “અહિંસા પરમો ધર્મ”ના સંદેશથી ગુંજી ઉઠ્યું હતું.
મહાવીર જયંતિ નિમિતે જૈન સમાજના આગેવાનો દ્વારા સમાજને હિંસા છોડીને અહિંસાનો માર્ગ અપનાવવા આહ્વાન કરવામાં આવ્યું હતું. ભક્તિ અને ઉત્સાહના માહોલમાં ઉજવાયેલ આ ઉજવણી સેલંબા નગર માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
