ભરઉનાળે ખેતરોમાં તળાવ ભરાયાં જેવી સ્થિતી, વાહન પાર્કિંગમાં કાદવ-કિચ્ચડ
।ભરૂચ ।
ઝનોરથી આવતી મીઠા પાણીની પાઈપ લાઈનમાં ઝાડેશ્વર ચોકડી પાસે ભંગાણ પડતાં મીઠાં પાણીનું જાણે ઝરણું ફુટ્યું હોય તેમ આસપાસના ખેતરો તેમજ પાર્કિંગ વિસ્તારમાં લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. જેના પગલે આસપાસના રહિશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ઉનાળાની મોસમ શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે ઉનાળામાં પાણીની કિલ્લત થવાની ફરિયાદો ઉઠવાની શરૂ થશે. ત્યારે ઝનોરથી આવતી મીઠા પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ થયાની ઘટના સામે આવી છે. ઝાડેશ્વર ચોકડી પાસે આવેલાં અભિનવ એવન્યૂની સામેથી પસાર થતી પિવાના મિઠા પાણીની લાઈનમાં પંચર પડયું હતું. જેના પગલે આસપાસમાં ઉભા રહેતાં લારીધારકો દ્વારા થોડા દિવસ પહેલાં જ રજૂઆતો કરવામાં આવી હતી. જોકે, તંત્ર દ્વારા તે તરફ કોઈ ધ્યાન નહીં અપાતાં આખરે પાણીની પાઈપ લાઈન ફાટી ગઈ હતી. જેના કારણે લાખો લીટર પાણી ઉભરાઈને આસપાસના ખેતરોમાં તેમજ નજીકમાં આવેલાં એક વાહનોના મોટા પાર્કિંગ વિસ્તારમા ફરી વળ્યું હતું ઘટનાને અંગે સંબંધિત અધિકારીઓને જાણ પણ કરવામાં આવી હતી. જોકે, જલદીપગલાં નહીં ભરાતાં લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
